(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.20
સરીગામ ઉદ્યોગિક વસાહત માટે રાજ્ય સરકારના નાણાં અને ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ સુકનિયાળ સાબિત થઈ રહ્યા છે. સરીગામ ઉદ્યોગિક વસાહત માટે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ હકારાત્મક વલણ અપનાવતા માળખાકીય સુવિધામાં અધતન વ્યવસ્થા ઊભી કરવામાં સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના વહીવટદારોને સફળતા મળી રહી છે.
આજરોજ એસ.આઈ.એ.ના સેક્રેટરી શ્રી સમીમભાઈ રીઝવી, પૂર્વ સેક્રેટરી શ્રી કમલેશભાઈ ભટ્ટ, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી સજ્જનભાઈ મુરારકા, શ્રી નિતીનભાઈ ઓઝાએ મંત્રીશ્રીની ગાંધીનગર કાર્યાલય ખાતે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન સરીગામ ઔદ્યોગિક વસાહતમાં પાયાની સુવિધાને લગતા કેટલાક જરૂરી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા અને રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં સીઈટીપીમાંથી ટ્રીટમેન્ટ કરાયેલા પાણીને તડગામ દરિયાકિનારા સુધી પહોંચાડવા માટે પાઇપલાઇનનો પ્રશ્ન જરૂરી જણાય રહ્યો હતો. જે રજૂઆતને પ્રાધાન્ય આપી મંત્રીશ્રીએ 40 ટકા સહાય મળવાપાત્ર હતી. એમની જગ્યાએ 70 ટકા સહાય અપાવવા સંબંધિત વિભાગને સૂચન કર્યું છે. જેના કારણે ઔદ્યોગિકવસાહતને વધુ લાભ થવાના સંજોગો નિર્માણ થશે એમાં બેમત નથી. આ અગાઉ મંત્રીશ્રીએ અંડર ગ્રાઉન્ડ કેબલ લાઇનની રજુઆતને માન્ય રાખી હતી. જેના કારણે ચોમાસા દરમિયાન વારંવાર ખોટકાતી વીજ સમસ્યામાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત બિસ્માર બનેલ બાયપાસ રોડના કારણે પડી રહેલી હાલાકીની સમસ્યા તરફ પણ તાત્કાલિક અસરથી દૂર કરવા બાંહેધરી આપી છે. મંત્રીશ્રીએ એસ.આઈ.એ.ની ટીમની વીસીએમડી સાથે મુલાકાત ગોઠવી આપી જરૂરી રજૂઆત તરફ ધ્યાન આપવા ભલામણ કરી હતી. આમ ગાંધીનગર પહોંચેલી એસ.એસ.એ.ની ટીમની મુલાકાત સફળ રહેવા પામી હતી.