(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.26: સેલવાસ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલર શ્રી સુમનભાઈ પટેલ દ્વારા ડોકમરડી ચાર રસ્તા પાસે રીંગરોડ પર ઓવરબ્રીજ બની રહ્યો હોય જેના કારણે રોડનું ખોદકામ કરેલ છે, જ્યાં વારંવાર અકસ્માત થતા હોય ખોદેલા રોડનું કામ તાત્કાલિક કરવા બાબતે કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
જેમાં જણાવ્યા અનુસાર ડોકમરડી ચાર રસ્તા પાસે રીંગરોડ પર ઓવરબ્રીજ બની રહ્યો છે જેના લીધે રોડના સાઈટના ભાગમાં ખોદકામ કરેલ છે. જે રોડનું કામ ઘણાં સમયથી બંધ પડેલ છે. આ રોડ પરથી રોજીંદા હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર થાય છે. રોડ ખોદવાના કારણે ત્યાં મોટા ખાડાઓ પડી ગયેલ છે જેથી અહીં વારંવાર અકસ્માતો થતાં હોય છે. ગત 25 ઓગસ્ટના રોજ રાત્રીના સમયે મુસાફરો ભરેલ એક બસ પલ્ટી મારી ગઈ હતી જેનાથી ઘણાં લોકોને ઈજા થવા પામેલ છે. અગાઉ પણ આ રોડ પર અને આજ સ્થળે ચારથી પાંચ વખત અકસ્માત થઈ ચુક્યા હોય જેને ધ્યાનમાં રાખી અધૂરા રોડનું કામ તાત્કાલિક પૂર્ણ કરવાની હોય છે. જે માટે સેલવાસ નગરપાલિકાનાકાઉન્સિલર શ્રી સુમનભાઈ પટેલ દ્વારા કલેક્ટરશ્રીને આ રસ્તાનું કામ વહેલી તકે કરવામાં આવે એવી વિનંતી કરી છે.