‘ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ’ વિશે મહાનુભાવોએ આપેલી માહિતી
આશરે 150 વર્ષ બાદ વસાહતી યુગમાં કાયદાઓ નાબૂદ કરવા તથા સજા સાથે સંબંધિત જોગવાઈઓને સુદૃઢ કરવા માટે 3 નવા કાયદાઓ ઘડવામાં આવ્યા છેઃ પ્રશાસકશ્રીના સલાહકાર અમિત સિંગલા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.07 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ મુજબ ભારતીય સંસદ દ્વારા પાસ કરાયેલા 3 નવા ફોજદારી કાયદા બાબત જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ અને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી(જી.એન.એલ.યુ.)ના સંકલનથી આજે સાંજે 04:00 વાગ્યે નાની દમણ સ્થિત સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય માનવાધિકાર આયોગના અધ્યક્ષ માનનીય ન્યાયમૂર્તિ ડૉ. કૌશલ જે. ઠાકર વિશેષ અતિથિ પદે ઉપસ્થિત રહ્યાહતા. આ પ્રસંગે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અમિત સિંગલા, આઈ.જી.પી. શ્રી મિલિંદ મહાદેવ દુમ્બેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો શુભારંભ મુખ્ય અતિથિઓના હસ્તે દીપ પ્રજ્વલન કરીને કરવામાં આવ્યો હતો.
આ અવસરે મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત રહેલા ગુજરાત માનવાધિકાર આયોગના અધ્યક્ષ ન્યાયમૂર્તિ ડૉ. કૌશલ ઠાકરે માહિતી આપતા જણાવ્યું હતું કે, ઘણીવાર કોર્ટને લાગે છે કે ગુનાની વ્યવસ્થિત તપાસ નહીં કરવામાં આવી છે અથવા તપાસમાં કોઈક ભૂલ થઈ છે, તો આ સમસ્યાને ઉકેલવા માટે નવા કાયદામાં જે ગુના માટે સાત વર્ષ કરતા વધુની સજાની જોગવાઈ છે, તેની તપાસમાં ફોરેન્સિક તજજ્ઞોની મદદ લેવી અનિવાર્ય કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આ નવા કાયદાઓમાં મોબ લિંચિંગ સાથે જોડાયેલા સહિત અન્ય ફેરફારો કરવામાં આવ્યા છે. તેમણે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ નવા કાયદાઓની જાણકારી સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જે પહેલ કરી છે તે તેમની દૂરંદેશીનું પ્રમાણ છે અને તેના માટે હું તેમને હૃદયથી અભિનંદન આપું છું. ગુજરાત માનવાધિકાર આયોગના અધ્યક્ષ ન્યાયમૂર્તિ ડૉ. કૌશલ ઠાકરે નવા કાયદાની વિસ્તારથી જાણકારી આપી હતી અને તેમના અનુભવો પણવર્ણવ્યા હતા.
આ પ્રસંગે પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અમિત સિંગલાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આશરે 150 વર્ષ બાદ વસાહતી યુગમાં કાયદાઓ નાબૂદ કરવા તથા સજા સાથે સંબંધિત જોગવાઈઓને સુદૃઢ કરવા માટે આ નવા કાયદાઓ ઘડવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, નવા કાયદામાં ભારતીયતા, ભારતીય બંધારણ અને ભારતીય નાગરિકોને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવામાં આવ્યા છે. આ નવા કાયદાઓ લાગૂ થતાં ભારતીય ન્યાયતંત્ર મજબૂત બનશે.
આ અવસરે સંઘપ્રદેશના ડી.આઈ.જી. શ્રી મિલિંદ મહાદેવ દુમ્બેરેએ નવા કાયદા વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાના ક્ષેત્રમાં ભારત એક નવી દુનિયામાં પગલું ભરી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, નવા ત્રણેય ફોજદારી કાયદા આમલોકોને ધ્યાનમાં રાખીને બનાવાયા છે અને પોલીસ વહીવટીતંત્ર તરીકે, વિભાગે આ કાયદાઓ અમલમાં મૂકવાના હોય છે જેના માટે અમે સંપૂર્ણ રીતે તૈયાર થઈ રહ્યા છીએ. જેને લઈને અમે વિભાગમાં તમામને આ કાયદાઓની તાલીમ આપવાનું કામ પણ કરી રહ્યા છીએ અને અમને ફોરેન્સિર તથા ટેક્નિકલ માહિણી પણ પ્રાપ્ત કરવી જરૂરી છે. જેના માટે અમે કેન્દ્રની એજન્સીઓની સાથે સમજૂતિ કરાર પણ કરી રહ્યા છીએ. શ્રી દુમ્બેરેએ જણાવ્યું હતું કે,આ કાયદાઓમાં નાગરિકોની મુખ્ય ભૂમિકા છે તેથી તમામ નાગરિકોએ નવા કાયદા વિશેની માહિતી મેળવી લેવી જોઈએ.
આજના જાગૃતિ કાર્યક્રમમાં જીએનએલયુના નિર્દેશક પ્રો. ડૉ. એસ. શાંથાકુમારે નવા 3 ફોજદારી કાયદાની માહિતી આપતાં જણાવ્યું હતું કે, નવા બ્રિટિશ સમય દરમિયાન ઘડાયેલા જૂના ફોજદારી કાયદા બ્રિટિશ સામ્રાજ્યનું રક્ષણ અને ભારતીયોને સજા કરવાના હેતુથી બનાવાયા હતા તેથી તેનું નામ ભારતીય દંડ સંહિતા પડયું. નવા કાયદાનો ઈરાદો તમામને ન્યાય અપાવવાનો છે એટલા માટે તેને ભારતીય ન્યાય સંહિતા નામ આપવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ફોજદારી કાયદા બ્રિટિશ સમયના કાયદાઓનું સ્થાન લેશે, જે આપણી ફોજદારી ન્યાય વિતરણ વ્યવસ્થાને સંસ્થાનવાદમાંથી મુક્ત કરશે. તેમણે જણાવ્યું હતું કે, કાયદો આપણી કાનૂની વ્યવસ્થાના વિકાસમાં એક મહત્વનું પગલું છે અને આપણાં દેશની કાનૂની વ્યવસ્થામાં એક ક્રાંતિકારી સુધાર છે. કાયદાની અજ્ઞાનતા કોઈ બચાવ નથી, તેથી તમામ નાગરિકોને આ નવા કાયદાઓની જાણકારી હોવી જરૂરી છે.
કાર્યક્રમના અંતે જીએનએલયુના સહાયક પ્રોફેસર ડૉ. હાર્દિક પરિખે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ પેનલ ડિસ્ક્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવા ફોજદારીકાયદાના કાર્યાન્વયન, જોગવાઈ, ફેરફાર અને વ્યવહારિક ઉપયોગ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં દમણના કલેક્ટર શ્રી સૌરભ મિશ્રા, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલ, દાનહ જિ.પં. પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડા, દમણ નગરપાલિકાના પ્રમુખ શ્રી અસ્પી દમણિયા, સેલવાસ ન.પા. પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટી, ચૂંટાયેલા જન પ્રતિનિનિધિઓ, પ્રશાસનિક અધિકારીઓ, સરકારી કર્મચારીઓ, શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ અને આમ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે યાદ રહે કે, દેશમાં અંગ્રેજોના શાસનકાળના ફોજદારી કાયદાઓનું સ્થાન લેનારા ત્રણ સુધારા બિલોને ડિસેમ્બર મહિનામાં મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ત્રણેય નવા કાયદા હવે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ તરીકે ઓળખાશે. જે ક્રમમઃ ભારતીય દંડ સહિત (1860), ફોજદારી પ્રક્રિયા સંહિતા (1898) અને ભારતીય પુરાવા અધિનિયમ (1872)નું સ્થાન લેશે. આ કાયદાઓનો હેતુ ગુનાઓ અને તેની સજાને વ્યાખ્યાયિત કરીને ફોજદારી કાયદો વ્યવસ્થાને પૂર્ણ રીતે બદલવાનો છે. હવે ભારતમાં લાગૂ કોઈ પણ કાયદા અંતર્ગત જવાબદાર કોઈપણ વ્યક્તિ પર ભારતની બહાર કરવામાં આવેલા કોઈ પણ ગુના માટે આ કાયદાહેઠળની જોગવાઈઓ મુજબ કેસ ચલાવવામાં આવશે.