ત્રણ વિભાગોના મંત્રીઓ, સચિવોની હાજરીમાં પાણી ભાવ વધારાની ચર્ચા વિચારણા યોજાઈ : વી.આઈ.એ.ના ઉદ્યોગકારોએ રજૂઆત કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.30: ગુજરાતની તમામ ઔદ્યોગિક વસાહતો કરતા વાપી વસાહતમાં પાણીના દર ઊંચા છે. જેને નિયત કરવા માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ વિભાગના ત્રણ સચિવ તથા ત્રણ મંત્રીઓ અને વાપીના ઉદ્યોગ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. બેઠકમાં વાપીમાં પાણીનો વધારે ભાવઅંગે સમિક્ષા કરાઈ હતી. આગામી સમયે તેની ફળશ્રૃતિ મળશે તેવો અણસાર મળી રહ્યા છે.
વાપી એસ્ટેટમાં પાણીના ભાવ વધારા અંગેની વારંવાર રજૂઆતો બાદ પણ પરિણામ નહી મળતા મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હતો. સોમવારે સચિવાલયમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની આગેવાની હેઠળ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. અગ્ર સચિવ જે.પી. ગુપ્તા, પાણી પુરવઠા અધિકારીઓ, નર્મદા વિભાગ અધિકારી તથા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ તતા વી.આઈ.એ.ના પ્રમુખ કમલેશભાઈ પટેલ, સેક્રેટરી સતિષભાઈ પટેલ, હેમંત પટેલ, એડવાઈઝર મિલનભાઈ દેસાઈ, યોગેશ કાબરીયા સહિતના ઉદ્યોગ પ્રતિનિધિઓ મીટિંગમાં જોડાયા હતા. સરકાર અને ઉદ્યોગકારો વચ્ચે યોજાયેલ આ પાણી દર અંગેની સમિક્ષા બેઠક બાદ 10 ટકા થયેલ પાણી દરના વધારામાં રાહત મળશે તેવી બેઠકની ફળશ્રૃતિ મળી હતી.