(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30: દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કેવડાત્રીજ વ્રત નિમિતે મહાદેવના મંદિરમાં જઈ મહિલાઓ દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી હતી.સ્ત્રીઓના તહેવારોમાં કેવડાત્રીજનું વ્રત મુખ્ય છે. આ વ્રત ભાદરવા માસના શુકલ પક્ષના ત્રીજના દિવસે કરવામાં આવે છે. તે દિવસે ત્રીજ હસ્તિ નક્ષત્ર યુક્ત હોય છે અને તે દિવસે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે. આ વ્રતસ્ત્રીઓને સૌભાગ્ય આપવા અને તેમના સૌભાગ્યની રક્ષા કરનારું છે. આ દિવસે શંકર અને પાર્વતીની શાષામાં બતાવેલ વિધિ મુજબ વિશેષ રૂપે પાર્થિવ પૂજા કરવામાં આવે છે.સ્ત્રીઓ આ દિવસે નિર્જળ ઉપવાસ કરે છે અને સાંજે વિધિપૂર્વક શિવ-પાર્વતીની પૂજા આરતી અને કેવડાત્રીજના વ્રતની કથા સાંભળે છે. તે શિવને પ્રાર્થના કરે છે કે મારો પતિ દીર્ઘાયુ બને. મારો સુહાગ અમર રહે. રાત્રે પણ તે પાણી પણ પીતી નથી. વહેલી સવારે સ્નાન-પૂજા કરી સૂર્યોદય પછી તે પારણાં કરે છે અને ઉપવાસ તોડે છે. કુંવારી છોકરીઓ આ વ્રત દ્વારા એવું માંગે છે કે, તેમનો ભાવિ પતિ સુંદર અને સુયોગ્ય હોય.