(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.05: દાદરા નગર હવેલીની નૂતન પ્રયાસ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા પ્રદેશના ખરાબ રસ્તાઓની મરામ્મત કરી નવીનીકરણ કરવા માટે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા મુજબ દાદરા નગર હવેલીના મોટાભાગના મુખ્ય રસ્તાઓના સમય પર નવીનીકરણ કે મરામ્મત કાર્ય નહીં થવાને કારણે ચોમાસાની ઋતુ શરૂ થતાં જ રસ્તાઓની હાલત ખરાબ થઈ ચૂકેલ છે. રસ્તાઓ પર મોટા મોટા ખાડાઓ હોવાને કારણે લોકોને આવાગમન કરવા ઘણીપરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અને કેટલાક રસ્તાઓ પર તો પગપાળા ચાલવામાં પણ પરેશાનીનો સામનો કરવા પડી રહ્યો છે. તો બીજી તરફ વાહન ચાલકોને ખાડામાં વરસાદી પાણીના ભરાવાને કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દુઃખ સાથે જણાવીએ છીએ કે સેલવાસ શહેર, ગ્રામીણ હોય કે ઔદ્યોગિક વિસ્તારના રોડ ડિવાઈડર, ઝિબ્રા ક્રોસિંગ વગરના રસ્તાઓના કારણે ઘણી વખત દુર્ઘટનાઓ પણ થઈ રહી છે. જેમાં કેટલીય વ્યક્તિઓને શારીરિક નુકસાન થયું છે તો કેટલાક પરિવારોએ પોતાના સભ્યને ખોયા છે. સેલવાસ શહેર, રખોલીથી સીલી, સેલવાસથી ઉમરકુઈ, સેલવાસથી ખાનવેલ માર્ગ, જિલ્લાના કેટલાક સ્થાનો પર ત્યાંના સ્થાનિક વેપારીઓ અને ઔદ્યોગિક એકમોને ઘણી જ પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી સંસ્થા દ્વારા કલેક્ટરશ્રીને નિવેદન કરવામાં આવ્યું કે વહેલામાં હવેલી તકે ખખડધજ રસ્તાઓની મરામ્મત અને નવીનીકરણ કરવામાં આવે એવી અપીલ કરવામાં આવી છે.