ચેરિટી કમિશનર ગુજરાત રાજ્ય અમદાવાદના પરિપત્ર તેમજ નિયમોના ઉલ્લંઘન બદલ એસઆઈએ અને નિયમનું પાલન કરાવવામાં નિષ્ફળ જનાર આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર અને ચેરિટી કમિશનર અંડર ધ એજીસ ઓફ લીગલ ડિપાર્ટમેન્ટને રિસ્પોડન્ટ બનાવી પ્રિટિશનર રૂવાબઅલી હકીકુલ ખાને રાજ્યની વડી અદાલતમાં માંગેલી દાદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.13: સરીગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાં લાંબા સમયથી નિયમનું પાલન કરવામાં આવી રહ્યું નહીં હોવાનું ચિત્ર સામે આવી રહ્યું હતું. આ સંદર્ભમાં સૌપ્રથમવર્તમાન પ્રવાહે અહેવાલ પ્રકાશિત કરી એસઆઇએના વહીવટદારો તેમજ એસઆઇએના તમામ સભ્યોનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રારંભમાં જે ઘટનાની ગંભીરતા પૂર્વ પ્રમુખ શ્રી કમલેશભાઈ ભટ્ટ તેમજ અગ્રણી ઉદ્યોગપતિઓએ સ્વીકારી હતી અને તમામ ફરજ બજાવી ગયેલા પૂર્વ પ્રમુખોની કારોબારી સમિતિ બનાવી આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર સાથે સંકલન કરી સર્જાયેલી કાયદાકીય ગૂંચનો ઉકેલ લાવવા પ્રયાસ કરશે એવા નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી વહેતી થવા પામી હતી. પરંતુ એસઆઈએમાં પ્રમુખની ખુરશી માટે મતભેદ ઉભો થતાં અગ્રણી ઉદ્યોગપતિઓમાં આંતરિક ખટરાગ સર્જાયો હતો અને આ કામગીરી વિલંબમાં પડી જવા પામી છે.
બીજી તરફ એસઆઈએ સામે નિયમનું પાલન કરાવવા માટે આગ્રહી બનેલા શ્રી રૂવાબઅલી ખાનની ધીરજ ખૂટતા ન્યાય માટે રાજ્યની વડી અદાલતમાં ઘા નાખવામાં આવી છે. ગુજરાત નામદાર હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર લ્ઘ્ખ્/7793/2024 થી પ્રિટિશનરની દાદ માન્ય રાખતા રિસ્પોડન્ટ 1.ચેરિટી કમિશનર અન્ડર ધ એજીસ ઓફ લીગલ ડિપાર્ટમેન્ટ 2.આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર અને 3.સરીગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન નોટિસની બજવણી કરી અગામી તારીખ 22/7/2024 ના રોજ હાજર થવા હુકમ કરવામાં આવ્યો છે.
સરીગામ ઈન્ડસ્ટ્રીઝએસોસિયેશનના સભ્યશ્રી રૂવાબઅલી ખાનની રજૂઆતને ગંભીરતાથી ન સ્વીકારતા સમગ્ર ઘટના ન્યાય માટે હાઇકોર્ટ સુધી પહોંચી જવા પામી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. દાદમાં કેટલાક ગંભીર મુદ્દાઓ પણ રજૂ કરવામાં આવેલા છે જે જોતા એસઆઈએ માટે હવે કપરો સમય આવશે એવા સંકેતો મળી રહ્યા છે.