-
‘‘સંઘપ્રદેશના પ્રશાસક અથવા કોઈપણ અધિકારીનો આ ગુના સાથે સંબંધ નથી તથા લગાવવામાં આવેલ તમામ આક્ષેપો જુઠ્ઠા અને કોઈ ગુનો બનતો નથી”ના તારણ સાથે હાઈકોર્ટે રદ્ કરેલી એફ.આઈ.આર.
-
પ્રશાસક અને કલેક્ટર વતી હાઈકોર્ટમાં ઉપસ્થિત રહેલા દાનહના યુવા ધારાશાષાી સની ભિમરાએ ન્યાયનો વિજય થયો હોવાની આપેલી પ્રતિક્રિયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
મુંબઈ, તા.08: બોમ્બે હાઈકોર્ટે આજે મોહન ડેલકર આત્મહત્યા પ્રકરણમાં મુંબઈ મરિન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં સંઘપ્રદેશના પ્રશાસક, કલેક્ટર સહિત 9 જેટલા વ્યક્તિઓ સામે નોંધાયેલી એફ.આઈ.આર.ને રદ્ કરવાનો આદેશ જારી કર્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે બોમ્બે હાઈકોર્ટને એવું લાગ્યું કે, સંઘપ્રદેશના પ્રશાસક અથવા કોઈપણ અધિકારીનો આ ગુના સાથે સંબંધ નથી તથા લગાવવામાં આવેલ તમામ આક્ષેપો જુઠ્ઠા અને કોઈ ગુનો બનતો નથી. તેથી મુંબઈની મરિન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં 9મી માર્ચ, 2021ના રોજ મોહન ડેલકરના પુત્ર શ્રી અભિનવ ડેલકર દ્વારા આઈપીસીની 306, 506, 398 અને120બી અને અનુ.જાતિ અને જનજાતિ અત્યાચાર નિવારણ ધારાની કલમો હેઠળ નોંધાયેલી એફ.આઈ.આર.ને રદ્ કરવાનો આદેશ બોમ્બે હાઈકોર્ટે આપ્યો છે.
અત્રે યાદ રહે કે, દાદરા નગર હવેલીના 7 વખત સાંસદ રહેલા 58 વર્ષિય શ્રી મોહનભાઈ ડેલકરે 22મી ફેબ્રુઆરી, 2021ના રોજ દક્ષિણ મુંબઈના મરિન ડ્રાઈવ એક હોટલમાં આત્મહત્યા કરી હતી. જેના સંદર્ભમાં નોંધાયેલી એફ.આઈ.આર.ને રદ્ કરવા માટે 9 આરોપીઓએ તેમને ફસાવવામાં આવી રહ્યા હોવાનું કારણ દર્શાવી મુંબઈ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.
મુંબઈ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી પી. બી. વરાલે અને ન્યાયમૂર્તિ શ્રી એસ. પી. કુલકર્ણીની ખંડપીઠે યાચિકાઓને અનુમતિ આપી જણાવ્યું હતું કે, આ યાચિકામાં દમ છે. દરેક સ્થિતિ ઉપર વિચાર કરતા અમને યાચિકાઓમાં યોગ્યતા લાગે છે તેથી આ અદાલત માટે યોગ્ય મામલો છે અને કાયદાના દુરૂપયોગને રોકવા માટે મામલાને રદ્ કરવામાં આવે.
આ કેસમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ ઉપરાંત તત્કાલિન કલેક્ટર શ્રી સંદીપ કુમાર સિંઘ, તત્કાલિન પોલીસ અધિક્ષક શ્રી શરદ દરાડે, તત્કાલિન ડેપ્યુટી કલેક્ટર શ્રી અપૂર્વ શર્મા, સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર શ્રી મનસ્વી જૈન, પી.આઈ. શ્રી મનોજ પટેલ, કાયદા સચિવ શ્રી રોહિત યાદવ, રાજનેતા શ્રી ફત્તેહસિંહ ચૌહાણઅને તલાટી શ્રી દિલીપ પટેલનો સમાવેશ થતો હતો.
આ કેસમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને દાનહના તત્કાલિન કલેક્ટર શ્રી સંદીપ કુમાર સિંઘ તરફથી દાનહના યુવા ધારાશાષાી શ્રી સની ભિમરા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ન્યાયની જીત થઈ હોવાનું જણાવ્યું હતું.