-
દરેક મંડળો એકજ સરખા ડ્રેસમાં વિસર્જનમાં જોડાયા
-
પારડી ચન્દ્રપુર સ્થિત માંગેલા લાઈફ સેવર ટ્રસ્ટે ખડા પગે સેવા આપી
-
પારડી જીવદયા, મોક્ષરથ અને ગૌ સેવા સમિતિએ નાસ્તા અને લીંબુ શરબતની સેવા આપી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.09: આજરોજ અનંત ચૌદસ એટલે ગણેશજીને વિદાય આપવાનો દિવસ. આજથી લગભગ સો વર્ષ પહેલાં દેશ ભક્તિ માટે મહારાષ્ટ્રથી કરવામાં આવેલ ગણેશ સ્થાપના સમયાંતરે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ખૂબ મોટો ધાર્મિક તહેવાર બની ગયો છે. મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં લગભગ દરેક શહેર અને ગામોમાં ગણેશજીની સ્થાપના અલગ અલગ મંડળો દ્વારા કરવામાં આવે છે.
તારીખ 31મી ના રોજ ગણેશજીની સ્થાપના કર્યા બાદ અનેક મંડળો પોતાની શક્તિ અને ભક્તિ અનુસાર ત્રણ, પાંચ, સાત અને નવ દિવસ પછી અનંત ચૌદસના દિવસેગણેશજીનુ વિસર્જન નદી અથવા દરિયામાં કરવામાં આવે છે. પારડી ખાતે પણ આજે અનંત ચૌદસના દિવસે અનેક મંડળો દ્વારા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. પારડી પોલીસ અને મંડળોના સદસ્યો દ્વારા ગણેશજી સ્થાપના પહેલા બે થી ત્રણ વખત કરવામાં આવેલ બેઠકમાં કરવામાં આવેલ આયોજનને લઈ ખૂબ શાંતિ પૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જનનો આ મહોત્સવ પૂર્ણ થયો હતો.
કોરોનાના બે વર્ષ પછી સૌ એકસાથે ભેગા થઈ ગણેશજીનો આ મહોત્સવ ઉજવવાની તક મળી હોય યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળતા વિસર્જન દરમ્યાન સમગ્ર નગર બાપાના વિદાયના રંગે રંગાઈ ગયું હતું. આ વર્ષના ગણેશ વિસર્જનના લગભગ દરેક મડળોએ પોતાના મંડળના દરેક સભ્યો માટે એક સરખા ડ્રેસ પહેરવાનું નક્કી કર્યું હોય એજ સરખા ડ્રેસને લઈ એક અલગ જ વાતાવરણ ઉભું થયું હતું.
પાર નદી ખાતે વિસર્જનમાં પારડી નગરપાલિકા દ્વારા પણ ખૂબ સારી સગવડ કરવામાં આવી હતી. સાથે સાથે જીવદયા ગ્રૂપ દ્વારા આશરે પાંચ હજાર લોકોને પૂર્ણ થાય એટલા નાસ્તાની સગવડ જ્યારે મોક્ષરથ અને ગૌ સેવા સમિતિ દ્વારા લીંબુ સરબતની સેવા નગરજનો માટે ફ્રીમાં રાખવામાં આવી હતી.
પાર નદી ખાતે વિસર્જનમાં હંમેશાં ચન્દ્રપુર ખાતે આવેલ માંગેલા લાઈફ સેવર ટ્રસ્ટનો ખુબ મોટો ફાળો રહેલ છે. અહીંના દરેકયુવાનો સમગ્ર ગણેશજીના વિસર્જન દરમ્યાન ફ્રીમાં વર્ષોથી સેવા આપી રહ્યા છે અને અનંત ચૌદસના છેલ્લા દિવસે મોડી રાત સુધી ચાલતા વિસર્જનમાં પણ થાકયા વિના સેવા આપી રહ્યા છે.
આજના આ ગણેશજી વિસર્જનને નિહાળવા પારડી શહેર તેમજ દુર દુરથી ખુબ જ મોટી હજારોની સંખ્યામાં ભક્તો પણ નદી સુધી આવતા હોય છેલ્લા કેટલાય સમયથી હાઈવેની હાઈ મસ્ત લાઈટો તેમજ સ્ટીટ લાઈટોના બંધના કારણે ગણેશ વિસર્જનમાં અંઘારપટને લઈ ભક્તોમાં નારાજગી જોવા મળી હતી. કેટલાય દિવસથી હાઈમસ્ટ લાઈટો બંધ હોવા છતાં તંત્રની આંખે આ અંધારપટ ન દેખાતા અને નપાણીયા નેતાગીરી ને પાપે પ્રજાએ પરેશાન થવાનો વખત આવ્યો હતો. પોતાના નાના બાળકો તેમજ મહિલાઓની સાથે ખુશી ખુશીથી ગણેશ વિસર્જન જોવા માટે આવેલ પરિવારો અંધારામાં અટવાયા હતા.