આદિવાસી વિસ્તારમાં વિકાસના કામો અવિરતપણે થઈ રહ્યા છેઃ સાંસદ ડો. કે.સી.પટેલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: પારડીમાં મોરારજી દેસાઈ ઓડીટોરિયમ ખાતે ગુજરાત સરકાર દ્વારા પ્રાંત કક્ષાના વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત પારડી અને વાપી તાલુકામાં રૂ. 86.70 લાખના 40 વિકાસના કાર્યોનું ઇ-લોકાર્પણ તથા રૂ. 4.864 કરોડના 132 કામોનું ઇ-ખાતમુહૂર્ત કરાયું હતું.
ગુજરાત સરકાર દ્વારા વિશ્વાસથી વિકાસયાત્રાના આયોજન દરમિયાન વિવિધ વિભાગોના સહયોગથી વિકાસ કાર્યોનું ઈ- લોકાર્પણ અને ઈ- ખાતમુહૂર્ત કરતા વલસાડના સાંસદશ્રી ડો.કે.સી.પટેલે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આદિવાસી વિસ્તારમાં અનેક વિકાસના કામો થયા છે અને હાલમાં પણ અવિરતપણે થઈ રહ્યા છે તેમ આ પ્રસંગે જણાવ્યું હતું. તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી બન્યા પછી સૌના સાથ અને સૌના સહકાર અને વિશ્વાસથી રાજ્યનો સમગ્રતયા વિકાસ કર્યો છે. આજે તેમના વડાપ્રધાન પદના સબળ અને સક્ષમ નેતૃત્વના કારણે દેશની આજે સમગ્ર વિશ્વમાં ગણના થઈ રહી છે. કોરોના કાળમાં પણ દેશમાં વૈજ્ઞાનિકો દ્વારા કોરોનાની રસીનું ઉત્પાદન કરીને આજે આ કોરોનાની રસી દેશભરના નાગરિકોને વિના મૂલ્યે પુરી પાડી છે. ઉપરાંત દેશના ગરીબ વર્ગના લોકોને હાલમાં નિઃશૂલ્ક અનાજ પુરુ પાડી વિશ્વભરમાં ભારત દેશનું નામ રોશન કર્યું છે. સાંસદશ્રીએ ગુજરાત રાજ્યના છેલ્લા 2 દાયકા દરમિયાન ગુજરાતનો દરેક ક્ષેત્રમાં વિકાસ થયો હોવાનું જણાવ્યું હતું. હાલમાં રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ બજેટમાં આદિવાસી વિસ્તારોમાં 100 મોબાઈલ ટાવર માટે સ્થાપવા માટેનું રૂ. 500 કરોડનું આયોજન કરવામાં આવ્યું છે. અસ્ટોલ યોજનાથી ધરમપુર-કપરાડાના 172 ગામોને પીવાનું પાણી પહોંચતુ કર્યું છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અને સીઆરએફમાંથી વલસાડ ડાંગના સંસદીય મત વિસ્તારમાં નવા રસ્તાઓના કામો કરવામાં આવ્યા છે. તેમજ કેન્દ્ર સરકારના દૂર સંચાર મંત્રાલય દ્વારા 35 નવા ટાવરો અને હાલમાં ટુજી નેટવર્કના 157 ટાવરોને થ્રીજી નેટવર્કમાં અપગ્રેડ કરવામાં આવ્યા છે તેમ જણાવ્યું હતું.
ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે જણાવ્યું કે, નાણામંત્રી કનુભાઈ દેસાઈના પ્રયાસથી જિલ્લામાં વિકાસના અનેક કામ થઈ રહ્યા છે. સરકારની અનેક વિધ યોજનાથી લોકોનું જીવન ધોરણ પણ બદલાયું છે. રસ્તા, પાણી, ગટર, શિક્ષણ અને આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓ હવે લોકોને ઘર આંગણે મળતી થઈ છે.
આ પ્રસંગે માહિતી ખાતા દ્વારા તૈયાર કરાયેલી ગુજરાતની વિકાસ ગાથા ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન પ્રાંત અધિકારી ડી જે વસાવાએ કર્યું હતું. જ્યારે આભારવિધિ પારડીના આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી સની પટેલે કરી હતી.