જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે વાંસદા પ્રાંતકક્ષાના રૂા.483 લાખના કુલ 331 કામોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.12: સમગ્ર રાજ્યમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત વાંસદા પ્રાંતકક્ષાનો કાર્યક્રમ નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઈ આહિરના અધ્યક્ષસ્થાને કુંકણા સમાજની વાડી, ખાંભાલાઝાપા, વાંસદા, જિલ્લા નવસારી ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઈ આહિરે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા 20 વર્ષના વિકાસની ઉજવણી પ્રાંતકક્ષાએ અનેકવિધ કાર્યક્રમો યોજી, છેવાડાના લોકો સુધી સરકારી સેવાઓ અને લાભો આપવા માટે વિશ્વાસથી વિકાસયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના લોકોની ચિંતા કરી તેમને સ્પર્શતી અનેકવિધ યોજનાઓનો અમલ કરી અવિરત વિકાસ કર્યો છે. રાજ્ય સરકાર ખાસ કરીને રસ્તા, વીજળી, પાણી અને આરોગ્ય જેવી સેવાઓ પર સવિશેષ ભાર આપી કામો કરી રહયાં છે.
નવસારી જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા શ્રી શીવેન્દ્રસિંહ સોલંકીએ રાજય સરકાર દ્વારાકરવામાં આવેલી વિકાસકામો વિશે લોકોને માહિતગાર કર્યા હતાં. સાથે વાંસદા તાલુકામાં કરવામાં આવેલા અને હાથ ધરાનાર વિકાસકામોની જાણકારી આપી હતી.
પ્રાંતકક્ષાના કાર્યક્રમમાં વાંસદા તાલુકાના કુલ 331 કામો રૂા.483/- લાખના ખર્ચે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઈ આહિરના હસ્તે ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ અવસરે રાજ્ય સરકારના 20 વર્ષના વિકાસની ફિલ્મ પણ નગરજનોએ નિહાળી હતી.
આ પ્રસંગે વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી શાંતુભાઈ ગાંવિત, ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રક્ષાબેન પટેલ, વાંસદા પ્રાંત અધિકારી શ્રી પ્રણવ વિઠ્ઠાણી સહિત પદાધિકારીઓ/અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.