(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.12: ઉમરગામ તાલુકાના ભીલાડ નજીકના મલાવ ખાતે રેલવે ફાટક ઉપર ઉમરગામથી અંબાજી રૂટ ઉપર ચાલતી મુસાફર ભરેલી એસટી બસ એકાએક બંધ પડતા મુસાફરોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાવા જવા પામ્યો હતો. સર્જાયેલી આ મુશ્કેલ ભરી પરિસ્થિતિમાં રેલવે ફાટક ઉપર અટકેલી બસને તાત્કાલિક દૂર કરવા રાહદારીઓ અને મુસાફરોએ ધક્કો મારી રેલવે ટ્રેક પસાર કરાવતા હાંસકારો અનુભવ્યો હતો.
ઉમરગામથી અંબાજી સુધી ચાલતી એસટી બસ લાંબા સમયથી કાર્યરત હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ બસ આવકની દ્રષ્ટિએ પણ એસટી વિભાગ માટે નફાકારક હોવાનું જણાઈ રહ્યું છે. મુસાફરોની માંગને ધ્યાનમાં રાખી એસટી વિભાગ દ્વારા બે બસ સેવા આપવામાં આવી છે. પરંતુ ફિટનેસની દ્રષ્ટિએ બસની હાલત ખરાબ છે. બસની અંદરના મુસાફરોની બેઠક સીટ તેમજ અન્ય વ્યવસ્થા પણ યોગ્ય નથી જેની મુસાફરો દ્વારા વારંવાર રજૂઆત છતાં એસટી તંત્ર ધ્યાન પર ન લેતો હોવાનું જાણવા મળી રહ્યું છે.