કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ફેસ્ટિવલનું આયોજન કરવું કેટલું યોગ્ય?
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13
દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઇ પટેલના માર્ગદર્શનમાં અને પાલિકાના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણના દિશાનિર્દેશમાં ચીફ ઓફિસર ચાર્મી પારેખના નેતૃત્વમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત અને સ્વચ્છ સર્વેક્ષણ 2022અંતર્ગત સેલવાસ નગરપાલિકા અને રૂબર્ન ક્લીનટેક પ્રા.લી નવી દિલ્હી દ્વારા દમણગંગા રિવરફ્રન્ટ પર સ્વચ્છતા પતંગ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, ચીફ ઓફિસર ચાર્મી પારેખ, ઉપ પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈ, પાલિકા સભ્યો અને કર્મચારીઓએ પતંગોત્સવમાં ભાગ લઈ સ્વચ્છતા સંદેશ આપ્યો હતો. સેલવાસ પાલિકા વિસ્તારના દરેક નાગરિકોને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિક મુક્ત સેલવાસ બનાવવા માટે પોતાનું યોગદાન આપવા અપીલ કરવામા આવી છે.
અત્રે નોંધનીય છે કે હાલના દિવસોમાં રોજે રોજ કોરોના વાયરસના ઘણાં કેસો નોંધાઈ રહ્યા છે તેવા સમયે સોશિયલ ડિસ્ટન્સ જેવા નિયમો પાળવાના હોય છે પરંતુ અહીં ફેસ્ટિવલનું આયોજન કરાઈ રહ્યું છે જે કેટલું યોગ્ય કહી શકાય?