રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારોમાં જનસુખાકારી સુવિધા મળી રહે તે માટે વિશેષ ધ્યાન આપી રહી છેઃ આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.18: ‘વિશ્વાસ થી વિકાસયાત્રા’ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના વાડ, ચીમનપાડા, બહેજ નાંધઇ, ખેરગામ અને વાવ ખાતે રાજયના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલના હસ્તે રસ્તાઓ/મકાનોના કામોના ખાતમુહૂર્ત/લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
આ અવસરે તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિર ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. ખેરગામ તાલુકામાં રૂા.1025.00 લાખના ખર્ચે રસ્તાઓ/મકાનોના ખાતમુહૂર્ત/લોકાર્પણ કરી પ્રજાજનોને વિકાસકામોની ભેટ ધરી છે.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની આગેવાનીમાં સરકારે આદિવાસી વિસ્તારોમાં રસ્તાઓ/મકાનો, વીજળી, શૌચાલય, પીવાનું શુદ્ધ પાણી જેવી જનસુખાકારી સુવિધા મળી રહે તે માટે વિશેષ ધ્યાન આપી અગ્રતાના ધોરણે કામ કરી રહી છે. ગુજરાતે છેલ્લા બે દાયકામાં વિકાસની નૂતન ક્ષિતિજો સરકરી છે. વિકાસ માટે નવી આકાંક્ષા અને અપેક્ષાઓ ઉભી થઈ છે, તેને ગુજરાતની ડબલ એન્જીનની સરકાર પ્રમાણિક્તાથી આગળ વધારી રહી છે.
મંત્રીશ્રી પટેલે વધુમાં ઉમેર્યુ કે, ગરીબોને સશક્ત કરવા માટે સો ટકા લાભાર્થીઓને યોજનાકીય લાભો આપવા અભિયાન શરૂ કર્યું છે. આદિવાસી વિસ્તારોમાં પાત્રતા ધરાવતો એક પણ લાભાર્થી લાભથી વંચિત ના રહી જાય એ માટે તેજ ગતિથી કામ કરી રહ્યા છીએ તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રીમતી દિપાબેન પટેલ, સરપંચશ્રીઓ, પદાધિકારીઓ અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
0000