સંઘપ્રદેશના પ્રશાસકે દાનહ જિ.પં.ના કાર્યાલયમાં રાખવા માટે પોતાના કાર્યાલયમાં રહેલી શામળાજીની પ્રતિમા ભેટ આપી સભ્યોને ભગવાન શ્રીકૃષ્ણની માફક અન્યાય અત્યાચાર અને પરિવારવાદ સામે સખત લડાઈ લડવાનો આપેલો માર્મિક સંદેશ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.15: દાનહ ભાજપમાં વિલીનીકરણ થયેલા જિલ્લા પંચાયતના 15 અને નગરપાલિકાના સભ્યોએ આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
દાદરા નગર હવેલીના પરિવારવાદની રાજનીતિમાંથી આઝાદ થયેલા જિલ્લા પંચાયતના અને નગરપાલિકાના સભ્યો હવે સ્વતંત્ર બની વિશ્વની સૌથી મોટી પાર્ટી એવી ભાજપના સભ્ય બનવાના રોમાંચ સાથે આજે પ્રદેશના પ્રશાસકની મુલાકાત લીધી હતી. જેમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ભારત સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણ માટે અંગત રસ લેવા તમામ સભ્યોને અનુરોધ કર્યો હતો અને પ્રશાસનનો અભિગમ હંમેશા લોકાભિમુખ અને છેવાડેના લોકોના વિકાસનો હોવાનું જણાવ્યુંહતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જિલ્લા પંચાયત કાર્યાલયમાં રાખવા માટે પોતાના કાર્યાલયમાં રહેલી ભગવાન શામળાજીની પ્રતિમા ભેટ આપી ભગવાન શ્રી કૃષ્ણની જેમ અન્યાય અત્યાચાર અને પરિવારવાદ સામે સખત લડાઈ આપવાનો પણ સંદેશ આપ્યો હતો.