(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.09: વાપી નગરપાલિકાના વેરા વિભાગે લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્ષ ના ભરતા મિલકતધારકોને નોટિસો આપવા સાથે મિલકતો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ચલા ખાતે આવેલ ફોર્ચ્યુન સ્ક્વેર-2 કોમ્પ્લેક્સના 19 બાકીદારોને વેરો ભરવા નોટીસો આપવામાં આવી હતી. જેમાંથી 17 બાકીદારોએ વેરો ભરી દીધો હતો. જ્યારે બે મિલકતધારકો ઓફીસ નં.410 અને 508 ના માલિકોએ બાકી વેરો ના ભરતા તાળાં મારવામાં આવેલ હતા. આ ઉપરાંત ચલા વિસ્તારમાં આવેલ શ્રી ચલા સોસાયટીમાં લાંબા સમયથી વેરો ના ભરતા 11 રો-હાઉસ માલિકોને ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 132ની પેટા કલમ (3) હેઠળ 15 દિવસમાં બાકી લેણી રકમ ભરવા નોટીસ આપવામાં આવી છે. નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી શૈલેષભાઈ પટેલના માર્ગદર્શનમાં ટેક્ષ સુપરિન્ટેન્ડન્ટ રાકેશ ઠક્કર અને ટેક્ષ ઈન્સ્પેક્ટર દીપક ચભાડિયા તથા ઘરવેરા વિભાગની ટીમ દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. વાપી નગરપાલિકાએ જાન્યુઆરી-22 માસ સુધીમાં કુલ માંગણું રૂ.1726.79 લાખ સામે રૂ.1317.86 લાખ સાથે 76.32 ટકા વસૂલાત કરી લીધી છે.નગરપાલિકાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે સરકારશ્રીની ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના” અંતર્ગત તા.31/03/2022 અંત સુધીના માંગણા બીલના તમામ પ્રકારના વેરાની બાકી રકમ તા.31/03/2023 સુધીમાં તમામાં લેણી રકમ સાથે ભરપાઈ કરવામાં આવે તો નોટીસ ફી/ વ્યાજ/ પેનલ્ટી/ વોરંટ ફીની 100 ટકા રકમ માફ કરવામાં આવે છે. જ્યારે સને- 2022-23 ના બાકી વેરા પર નિયમોનુસાર દંડનીય વ્યાજ વસૂલ કરવામાં આવી રહ્યું છે. જે દર માસમાં 1 ટકા વધતું જશે અને માર્ચ-2023 સુધી 6 કટા સુધી લાગશે. અને નાણાકીય વર્ષ 2022-23 પૂરું થતાં પાછલી બાકી રહેતી તમામ રકમ ઉપર કુલ 12 ટકા વ્યાજ લાગશે. જેથી પાછલી બાકી રકમ સાથે તમામ બાકી વેરો ભરી યોજનાનો લાભ લેવા સાથે ચાલુ વર્ષના દંડનીય વ્યાજ ભરવામાંથી મુક્તિ મેળવવા અપીલ થઈ છે.
Previous post