(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.19: દીવ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી વિવેક કુમારને એક આદેશ જારી કરી ફિરંગીવાડમાં જૂના સરકાર દવાખાનાની સામે પી.ટી.એસ. નં.બર 144/1-1ની સરકારી જમીન પર ગેરકાયદેસર અતિક્રમણ કરી વગર મંજૂરીએ મકાન તાણી બાંધનારા 4 લોકોને નોટિસ આપી છે. જે લોકોને નોટિસ આપવામાં આવી છે તેમાં (1)પુષ્પાબેન રમણિક (2)નાનુબેન પ્રેમજી પરમાર (3)ભારતીબેન રાહુલ રાવલ તથા (4)ગીતાબેન લાલજીના નામ સામેલ છે, જેઓને ન.પા.એ 15 દિવસમાં ગેરકાયદે નિર્માણ સ્વૈચ્છાએ તોડવા માટે જણાવાયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ દીવ જિલ્લા પ્રશાસને ફિરંગીવાડમાં સરકાર દવાખાનાની સામે પીટીએસ 144/1-1નીજમીન અમરચંદ એમીચંદને કેટલાક વર્ષો પહેલાં લીઝ પર આપવામાં આવી હતી. જેને અમરચંદ એમીચંદના મૃત્યુ બાદ તેના વારસદાર જયંતિલાલ અમરચંદે આ જમીનને પ્લોટ બનાવીને લોકોને વેચી દીધી. પોર્ટુગીઝ સરકારી રેકોર્ડ જૂનો સર્વે નંબર 1637 મુજબ આ જમીન 1700 મીટર હતી. પરંતુ દીવમાં જમીનના ભાગ બહુકિંમતી થવાના કારણે આ લોકોની નિયત બગડી અને લીઝ પર આપવામાં આવેલ જમીન 1700 મીટરની સાથે સાથે સરકારી જમીન પર અતિક્રમણ કરી તેને 2400 મીટર સુધી કબ્જો કરી વેચી દીધી. આ જમીન પર પુષ્પાબેન રમણિક, નાનુબેન પ્રેમજી પરમાર, ભારતીબેન રાહુલ રાવલ તથા ગીતાબેન લાલજીએ નગરપાલિકાની મંજૂરી વગર 2 માળનું મકાન પણ બનાવી દીધું.
ઉપરોક્ત સરકારી જમીન ખાનગી વ્યક્તિઓના નામ પર કરવા બાબતે મહેસૂલ વિભાગના તત્કાલિન અધિકારીઓની મિલીભગતને લઈ કેટલીય વખત લેખિત ફરિયાદ કરવામાં આવી. પરંતુ પ્રશાસન દ્વારા આ સંબંધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. આ વખતે દીવ નગરપાલિકા આ બાબતે એક્શનમાં આવી છે અને અતિક્રમણ કરનારા પુષ્પાબેન રમણીક, નાનુબેન પ્રેમજી પરમાર, ભારતીબેન રાહુલ રાવલ અને ગીતાબેન લાલજીને નોટીસ ફટકારી 15 દિવસમાં ઉક્ત સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર બાંધકામ સ્વૈચ્છાએ તોડી પાડવા આદેશ કર્યોછે.