ધરમપુર અને કપરાડા જેવા અતિ દુર્ગમ જંગલ વિસ્તારોના ગામડાઓના વિવિધ પ્રશ્નો જેવા કે ખખડધજ રસ્તાઓના નવીનીકરણ થાય તથા અન્ય વિકાસના કામો પ્રત્યે પણ મંત્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નેતાઓ દ્વારા સંવેદનશીલ અભિગમ અપનાવી વિશેષ ધ્યાન રાખવામાં આવે જરૂરી છે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી,તા.05: છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં એકધારી સત્તા ભોગવતી ભાજપ સરકાર ફરી એકવાર પોતાની સત્તા હાંસલ કરવા અને ચૂંટણીની આચારસંહિતા જાહેર થાય તે પહેલાં નેતાઓ વિકાસના કામો લઈ પ્રજા સમક્ષ આવી રહ્યા છે.
જેના ભાગરૂપે આજે દશેરાના શુભ દિવસે ગુજરાત સરકારના ઊર્જા, નાણાં અને પેટ્રો કેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લગભગ રૂા. નવ કરોડ, 7 લાખ, 75 હજારના વિવિધ કામોનું ખાતમુહૂર્ત પારડી નગરપાલિકા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ સ્વાધ્યાય મંડળ ખાતે રૂા.7.83 લાખના પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કર્યા બાદ પંડિત સાતવળેકરના જીવન ચરિત્ર દર્શાવતું સુંદર પ્રદર્શન પણ નિહાળ્યું હતું. ત્યારબાદ સ્વાધ્યાય મંડળ રોડ ખાતે જ રૂા.8.74ના ખર્ચે આંગણવાડીનું ખાતમુહૂર્ત,રૂા.88. 83 લાખના ડામર રોડ તથા રૂા.9.73 લાખના પોકેટ ગાર્ડનનું ખાતમુહૂર્ત કર્યા બાદ બાલાખાડી વિસ્તારમાં રૂા.212.95 લાખનાં ખર્ચે ડામર રોડ, બોક્સ ડ્રેઈન તથા આર.સી.સી. રોડ, નવજીવન સોસાયટીમાં રૂા.15.83 લાખનો ડામર રોડ તથા10.58 લાખના આર.સી.સી. વોલનું ખાતમુહૂર્ત કર્યા બાદ દમણી ઝાપા પાસે રૂદ્ર આર્કેડ સર્વિસ રોડ અને મામલતદાર કચેરીની પાછળના રોડ ખાતે રૂા.44.39ના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેઇન રૂા.225.53નાં ખર્ચે ડામર રોડ તથા રૂા.131.24 લાખના ખર્ચે સાયકલ ટ્રેક અને રૂા.78.17 લાખના ડામર રોડ રૂા. 78 લાખના ડામર રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ દરમિયાન પારડી સ્મશાન ગૃહ ખાતે રૂા.74.63 લાખના ખર્ચે કૈલાશધામના રીનોવેશનના કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આમ કુલ રૂા. 907.75 લાખ જેટલી માતબર રકમના વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
અત્રે યાદ રહે કે, છેલ્લા એક દાયકાથી ભૂગર્ભ ગટરલાઈનનું કામ આજ સુધી એસ.ટી.પી. પલાન્ટના અભાવે શરૂ થયું નથી. અને લોકોએ ગેરકાયદેસર રીતે કનેક્શન જોડી આ ગદું પાણી બાલાખાડી વિસ્તારમાં જાહેરમાં છોડવામાં આવતું હોય આરોગ્યલક્ષી કોઈ હોનારત ઘટે એ પહેલાં આ એસ.ટી.પી. પલાન્ટ બનાવી ભૂગર્ભ ગટરલાઇન વહેલી તકે કાયદેસર રીતે શરૂ થાય એવુંલોકો ઈચ્છી રહ્યા છે.
આજના આ કાર્યક્રમમાં પારડી નગરપાલિકા પ્રમુખ શ્રી હસુભાઈ રાઠોડ, પારડી શહેર ભાજપ પ્રમુખ શ્રી રાજેશ પટેલ, આર.આર.એસ.ના શ્રી રાજેશભાઈ રાણા, ડો. પ્રતાપ ઠોસર, શ્રી દેવેનભાઈ, શ્રી રાજનભાઈ, શ્રી કિરણભાઈ, શ્રીમતી ફાલ્ગુનીબેન, શ્રી અલી અન્સારી, શ્રીમતી સંગીતાબેન પટેલ તથા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, ન.પા.ના કર્મચારીઓ અને આમ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે નોંધનીય છે કે, વલસાડ, વાપી, પારડી, ઉમરગામ જેવા શહેરી વિસ્તારોમાં તો વારેઘડીએ વિકાસના કામોના ખાતમુહૂર્તો અને લોકાર્પણો મોટાપાયે થઈ રહ્યા છે પરંતુ ધરમપુર અને કપરાડા જેવા અતિ દુર્ગમ જંગલ વિસ્તારોના ગામડાઓના મોટાભાગના રસ્તાઓ અત્યંત જર્જરિત અને ખખડધજ બન્યા છે એ તરફ પણ નેતાઓ અને મંત્રીઓ દ્વારા ધ્યાન રાખવામાં આવે અને ‘સર્વજન સુખાય સર્વજન હિતાય’ એ ઉક્તિ મુજબ વિકાસના કામો કરવામાં આવે સમયની માંગ છે.