કચેરીઓ દ્વારા ક્ષતિગ્રસ્ત કાર્ડ બનાવાય છે : હજારો નવા આયુષ્યમાન કાર્ડ બનાવનારા નાગરિકો ટલ્લે ચઢી રહ્યા છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: ભારત સરકાર દ્વારા મધ્યમ અને નાના પરિવારોના નિઃશુલ્ક સ્વાસ્થ્ય સારવાર માટે 5 લાખની મર્યાદામાં આયુષ્યમાન (પી.એમ.જે.વાય.) યોજના કાર્યરત છે. દેશના નાગરિકો માટે શ્રેષ્ઠ કલ્યાણકારી યોજના છે. જેનો લાભ લાખો લોકો લઈ રહ્યા છે. પરંતુ નવા આયુષ્યમાન કાર્ડ બનાવવા સરકાર દ્વારા સ્પે. ડ્રાઈવ સુધીના આવકાર્ય આયોજન સહિત નિયમિત જે તે આરોગ્ય શાખામાં કાર્ડ નિકળી પણ રહ્યા છે. આ યોજનાનો લાભ લેવા ત્રણ પુરાવા ફરજીયાત છે. આવકનો દાખલો, આધાર કાર્ડ અને રેશનીંગ કાર્ડ. આ ત્રણ પુરાવાર અરજકર્તા પાસે મૌજુદ હોય તો પણ આયુષ્યમાન કાર્ડ તેઓ મેળવી શકતા નથી. જરા અચરજ પમાડે તેવી આ સત્ય હકિકત છે. વલસાડ જિલ્લામાં હજારો નાગરિકો નવા આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે રજળી રહ્યા છે.
આયુષ્યમાન કાર્ડ મેળવવા માટે અરજકર્તા કોઈ પણ આરોગ્ય શાખા કે સી.એચ.સી. મારફતે મેળવી રહ્યા છે. પણ તદ્દન સત્ય નથી અર્ધસત્ય છે. અરજકર્તા ત્રણે કે.વાય.સી. આધાર કાર્ડ, આવકનો દાખલોઅને રેશનીંગ કાર્ડ રજૂ કરે છે. પણ કાર્ડ નથી મેળવી શકતા કારણ કે જે તે મામલતદાર કચેરીઓ દ્વારા બનાવી આપેલ રેશનીંગ કાર્ડ સંખ્યાબંધ ક્ષતિપૂર્ણ નિકળે છે. તેમાં મોટા ભાગે સ્ટેટ સરવરમાં તમારા પરિવારના સભ્યોની ઈમેજ (નામો) ડીઝીટલી સબમીટ થયા વગરના જ બતાવે છે તેથી આરોગ્ય વિભાગ કે સી.એચ.સી. દ્વારા આયુષ્યમાન કાર્ડ બનાવવાની માંગણી રિજેક્ટ કરાઈ રહી છે. રેશનીંગના છબરડાઓએ તો હદ વટાવી દીધી છે. કોઈની અટક, કોઈના એડ્રેસ, કોઈના લીંગ જ્યાં ત્યાં દર્શાવી બારકોટેડ રેશનીંગ કાર્ડ અરજકર્તાને પકડાવી દેવાય છે. દરેક મામલતદાર કચેરીઓમાં વહેલી સવારથી જ રેશનીંગ કાર્ડમાં સુધારા-વધારા કરવાની લાઈનો લાગી જાય છે. એ પણ હજુ સુધી કોઈ ભાગ્યશાળી અરજકર્તા નિકળ્યો નથી કે તેને બે-ત્રણ ચક્કરમાં રેશનીંગ કાર્ડ મળ્યુ હોય!! લાગવકીયા કે વચેટીયાઓ ઉભા ઉભા કામ કરી જાય તે સ્પે.કેટેગરીની રેન્જમાં હોય છે જ્યારે આમ નાગરિક કતારમાં. સૌથી વધુ ગંભીર બાબત તો એ છે કે, કોઈ મોટી જટીલ ખર્ચાળ બિમારીનો પરિવારનું ભોગ બને ત્યારે આયુષ્યમાન કાર્ડ વગર સારવાર ક્યાં કરાવશે અને ખાનગી હોસ્પિટલમાં લાચારી જોગ ખર્ચાળ સારવાર કરાવી પડી તો તેની જવાબદારી-કસુરવારી શું મામલતદાર કચેરીની નથી?