પરિવાર મિલન કાર્યક્રમ સાથે પરંપરાગત વેશ પરિધાનમાં રાસોત્સવની ભવ્ય ઉજવણી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: વાપીમાં શ્રી સમસ્ત સૌરાષ્ટ્ર-કચ્છ આહિર સમાજ દ્વારા શરદ પૂર્ણિમાએ આહિર સમાજની વાડીમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં પરંપરાગત ભાતિગળ વેશ પરિધાન સજ્જ બની રાસોત્સવના કાર્યક્રમમાં ઉમંગ ઉત્સાહભેર જોડાયા હતા.
વાપી-વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશ દમણ-દાનહને કર્મભૂમિ બનાવી આહિર સમાજના હજારો પરિવારો સ્થાયી થયા છે. બિલ્ડીંગ, પશુપાલન, તથા સરકારી નોકરીઓ થકી વાપીવિસ્તારમાં કાર્યરત છે તેવા સમસ્ત સૌરાષ્ટ્ર-કચ્છ આહિર સમાજ દ્વારા પ્રત્યેક શરદ પૂનમએ પરિવાર મિલન અને રાસ-ગરબાનું આયોજન કરાય છે. રવિવારે રાતે આહિર સમાજ પ્લોટ ને.હા. ઉપર શરદ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બહેનો પરંપરાગત ટ્રેડીશન ડ્રેસ અને આભુષણોથી સજ્જ બની રાસ-ગરબામાં જોડાઈ હતી. કૃષ્ણ ભક્તિ સાથે સંકળાયેલ સમસ્ત સમાજ કૃષ્ણ ભગવાનને આરાધ્ય દેવ ગણે છે તેમજ વારસદારો ગણે છે. ભગવાન રાસ રમતા તેની પરંપરા આજદિન સુધી સદીઓથી જાળવી રાખી છે.