યથાવત સ્થિતિ નહીં રખાય તો ચૂંટણી બહિષ્કારનું ગ્રામજનોએ આહવાન કર્યું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18
આગામી ડિસેમ્બર 2021માં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે તે પૂવર્ર બહાર પડાયેલ મતદાર યાદીમાં કપરાડાના ટુકવાડા ગામે મોટો છબરડો બહાર આવ્યો છે. આ ગામના સાગરમાળ ફળિયાના મતદારોનો સમાવેશ ઘાડવી ગામમાં કરી દેવામાં આવતા સ્થાનિક મતદારોમાં રોષ જોવા મળ્યો હતો. આજે ગુરૂવારે ગામના કોંગ્રેસ આગેવાનો દ્વારા વલસાડ કલેક્ટરમાં આવેદનપત્ર પાઠવી ચૂંટણી કાર્યાલય દ્વારા થયેલ છબરડાનો વિરોધ કરી જે તે મતદારો સાગળ ફળીયાના છે તેમને યથાવત રાખવાના સૂત્રોચ્ચાર સાથે માંગણી કરી હતી.
કપરાડાના ટુકવાડા ગામના સાગરમાળ ફળીયાના મતદારોનો ઘાડવી ગામમાં સમાવેશ મતદાર યાદી થકી જાહેર થતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. આજે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મતદાર યાદીના ફેરફારનો વિરોધ કર્યો હતો. માંગણી કરી હતી કે જો સ્થિતિ યથાવત નહી કરાય તો આગામી ચૂંટણીનો ગ્રામજનો બહિષ્કાર કરશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.