(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
સેલવાસ,તા.10: દાદરા નગર હવેલીના નરોલી ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા ગૌમાતાની સુરક્ષા અને નરોલી – સેલવાસ રોડ ઉપર ભારે વાહનોના ગેરકાયદેસર પાર્કિંગ સંદર્ભે જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક અને જિલ્લા પંચાયતના મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર ગત 8ઓક્ટોબરના રોજ નરોલી ચેકપોસ્ટ નજીક રાત્રે કન્ટેઈનર સાથે અકસ્માતમાં ચાર ગાયોના જગ્યા ઉપર જ મોત થયા હતા અને બે ગાયોને સારવાર માટે પશુ દવાખાનામાં લઈ જવામાં આવી હતી. તેમજ માનવજીવન રક્ષણ માટેના મુદ્દાઓ જેવા કે માલિકીની ગૌમાતાનું રક્ષણ જે તે ગૌમાલિકની રહેશે, જો કોઈની માલિકીની ગાય કે પશુ રખડતા જોવા મળશે તો એ માલિક ઉપર ફરિયાદ નોંધવામાં આવે એવી વ્યવસ્થા કરવી, રખડતા પશુઓના ગળામાં રેડિયમ પટ્ટી લગાવવામાં આવે, નરોલી ચેકપોસ્ટથી અથાલ ગામ સુધીમાં મેઈન રોડ પર કરવામાં આવતા બેફામ મોટા વાહનોના પાર્કિંગ ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે એવી વ્યવસ્થા કરી તાત્કાલિક પાર્કિંગ દૂર કરવામાં આવે, પંચાયતના સભ્યો દ્વારા આ તમામ મુદ્દાઓનું અમલીકરણ આપના વિભાગથી થાય તેવી અરજ તેમણે કરેલી રજૂઆતમાં કરી છે.
હવે જોવું રહ્યું કે, પ્રશાસન દ્વારા આવા બેજવાબદાર પશુમાલિકો અને ગેરકાયદે આડેધડ વાહનોપાર્કિંગ કરનારાઓ માટે કેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.