(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.10: ચીખલી તાલુકામાં અઠવાડિયા પહેલા પાછોતરા વરસાદના કારણે ડાંગર ટામેટા રીંગણ સહિત શાકભાજીના મહામૂલો પાકને નુકસાન થતાં સામી દિવાળીએ ખેડૂતોની હાલત કફોડી થવા પામી છે ખરા સમયે મહામૂલો પાક જમીનદોસ્ત થવા પામતા ડાંગરના પાકમાં પણ મોટું નુકસાન વેચવાનો સમય આવતા ખેડૂતોનો દિવાળીના દિવસો પાઇમાલી તરફ ધકેલાવા પામ્યા છે.
ચીખલી તાલુકામાં નવરાત્રીના દિવસોમાં થયેલા પાછોતર વરસાદના કારણે શાકભાજી પકવતા ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે જેમાં ખાસ કરીને રીંગણ અને ટામેટાના છોડ કે જેના ઉપર રીંગણ ટામેટા લાગવાની તૈયારીમાં હતા અને છોડ ઉપર ફૂલ પડવા પામ્યા હતા અને ટૂંકા ગાળામાં જ છોડ ઉપરથી લણવાનો તૈયાર થાય એવી સ્થિતિમાં હતો એ જ સમયે વરસાદ પડતા વરસાદનું પાણી છોડના મૂળમાં લાગી જતા આખે આખા છોડ જ મુરઝાઈને મરી જતા મહા મહેનતે તૈયાર કરવામાં આવેલ પાક મરી જતા ખેડૂતોની હાલત દયનીય થવા પામી છે. ખેડાણ, ખાતર, પાણી બિયારણનો ખર્ચ પણ માથે પડયો હતો. વરસાદને પગલે ડાંગરનો પાક ખેતરમાં જ ઢળી પડતા જે પાકમાં ખેતરની ભીની માટી(કાદવ) લાગી જવા સાથે ડાંગરના દાણા બગડી જવાની નોબત આવતા ડાંગરના પાકને પણ પાછોતરા વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની જવા પામી હતી. વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાનમાં ખેતીવાડી વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા ખેડુતોમાં ભારે રોષ ફેલાવા પામ્યો હતો.
ખૂંધ ગામના ખેડૂત મગનભાઈ પટેલના જણાવ્યાનુસાર શાકભાજીના પાકમાં ટામેટા અને રીંગણના છોડ માવજત કરતા ખૂબ જ સરસ થયા હતા. પરંતુ પાછોતરા વરસાદથી રીંગણ ટામેટાના છોડમાં પાણી લાગતા કેટલાક છોડો મુરજાઈને મરી જતા ખેડૂતોને મોટું નુકસાન થતા દિવાળીના દિવસો બગડતા ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જ્યારે સરકારે પાકની વળતર બાબતે વિચારણા કરવી જોઈએ.
