એજીએમમાં મહાસંગઠનના સંવિધાનમાં સંશોધન અને મહિલા અને યુવા પાંખ બનાવવા બાબતે થયેલી સંમતિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.11 : શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘની નવી સમિતિની રચના કરાયા બાદ આજે ડો. વિશાલ ટંડેલની અધ્યક્ષતામાં નાની દમણના દેવકા ખાતે આવેલ હોટલ તાનિયા સી રોકમાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નવી કમિટીની યાદી ટ્રસ્ટ કમિશનરને મોકલવાનો ઠરાવ તથા એ.જી.એમ.માં મહાસંગઠનના સંવિધાનમાં સંશોધન તથા મહિલા અને યુવા પાંખ બનાવવા બાબતે સંમતિ સધાઈ હતી. આ બેઠક દરમિયાન બેંકોમાં પદાધિકારીઓની બદલી કરવા બાબતે નિર્ણય લેવાયો હતો.
ઉપરાંત કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ જનકલ્યાણકારી યોજનાઓને માછી સમાજના ઘરે ઘરે પહોંચાડવા ઉપર જોર આપ્યું હતું.
આયુષ્માન ભારત તથા પી.એમ.જીવન જ્યોતિ યોજના અને પી.એમ.વીમા સુરક્ષા યોજના સમાજના પ્રમુખ અને સમિતિ વિવિધ માછી સમાજના ગામોમાં જાગૃતિ અભિયાન ચલાવી માછી સમાજના લોકોને લાભ આપવાની દિશામાં કામ કરશે આ બાબતે નિર્ણય લેવાયો હતો.
આબેઠકમાં મહામંત્રી શ્રી ટી.પી.ટંડેલ, શ્રી ઠાકોરભાઈ પટેલ અને પૂર્વ અધ્યક્ષ શ્રી ચંપકભાઈ ટંડેલ તથા અન્ય ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.