July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા તાલુકાના માંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને NQAS કાર્યક્રમ હેઠળ કવોલિટી સર્ટિ. મળ્યું, સાથે ૩ વર્ષ સુધી દર વર્ષે રૂ. ૩ લાખની ગ્રાન્ટ પણ મળશે

કેન્દ્ર સરકારની ટીમ દ્વારા થયેલી ચકાસણીમાં માંડવા પીએચસી ૮૭.૬૨ ટકા સાથે તમામ માપદંડોમાં ખરુ ઉતર્યું

દર્દીઓની સારવારથી માંડીને સુવિધા તેમજ રેકર્ડ અને રજિસ્ટરોની પણ તપાસ કરવામાં આવી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: સરકારી દવાખાનામાં દર્દીઓને સારામાં સારી સારવાર અને સુવિધા ઉપલબ્ધ થાય તેમજ વહીવટ પણ લોકાભિમુખ ચાલે તે માટે કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નેશનલ હેલ્થ મિશન દ્વારા માર્ચ મહિનામાં એક ટીમ વલસાડ ખાતે મોકલવામાં આવી હતી. જે ટીમ દ્વારા કપરાડા તાલુકાના માંડવા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી. માંડવા પીએચસી આરોગ્ય સેવાઓની ગુણવત્તાના તમામ માપદંડમાં ૮૭.૬૨ ટકા સાથે ઉર્તિણ થતા નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ કાર્યક્રમ અંતર્ગત કવોલિટીનું સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે.


વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીના નેતૃત્વમાં જિલ્લાના સરકારી દવાખાનાઓમાં આરોગ્ય સેવાઓ વધુ સુદઢ બને તેવા પ્રયાસો હાથ ધરાયા હતા. જેમાં તમામ આરોગ્ય કેન્દ્રમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને એમ્બ્યુલન્સ અને સ્ટાફની ઘટ પણ પૂરવામાં આવી હતી. આ દરમિયાન કેન્દ્ર સરકારની ટીમ વલસાડ જિલ્લામાં તા. ૨૮-૨૯ માર્ચના રોજ ચકાસણી માટે આવી હતી. જેમણે કપરાડા તાલુકાના માંડવા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સતત બે દિવસ સુધી ચકાસણી કરી હતી. જેમાં દર્દીને કેવી સારવાર આપવામાં આવે છે, દર્દીને સરકારી સેવાથી સંતોષ છે કે કેમ, અધિકારી અને કર્મચારીઓનું આરોગ્યલક્ષી જ્ઞાન, સરકારના નિયમો મુજબ રેકર્ડ અને રજિસ્ટર નિભાવણી વગેરેની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત સગર્ભા-પ્રસૂતાની સેવા, બાળ સંભાળ અને સારવાર, કુટંબ કલ્યાણની સેવાઓ, ચેપી રોગોનું સંચાલન, સામાન્ય રોગોની સારવાર, બિન સંચારી રોગો, વૃધ્ધ દર્દીઓની સાર સંભાળ, ઈમરજન્સી સેવાઓ, માનસિક બિમારીવાળા દર્દીઓની સંભાળ જેવી સુવિધાઓની ખાતરી રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી હતી. આ સિવાય ઓપીડી, લેબોરેટરી, લેબર રૂમ, નેશનલ હેલ્થ પ્રોગ્રામ, દર્દીઓના અધિકારો, દર્દીઓનું સાજા થવાનું પ્રમાણ અને કવોલિટી મેનેજમેન્ટ સહિતનું મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકારની ટીમ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૬ વિભાગોનું મૂલ્યાંકન કરી રાજ્યકક્ષાએ અને બાદમાં કેન્દ્ર કક્ષાએ મૂલ્યાંકનની વિગતો મોકલવામાં આવી હતી. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અપાતી આરોગ્ય સેવાઓના એસેસમેન્ટમાં ૭૦ ટકાથી વધુ સ્કોર થાય તો કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડનું સર્ટિફીકેટ આપવામાં આવે છે. ત્યારે માંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ૮૭.૬૨ ટકા સાથે આ તમામ માપદંડોમાં ખરુ ઉતરતા તેને NQAS પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. સાથે ત્રણ વર્ષ સુધી વધારાની ત્રણ – ત્રણ લાખ રૂપિયાની ગ્રાંટ પણ પુરસ્કારરૂપે આપવામાં આવશે. જેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની સુવિધામાં પણ વધારો થશે.

જિલ્લામાં અત્યાર સુધીમાં ૮ પીએચસીને NQAS કાર્યક્રમ હેઠળ કવોલિટી પ્રમાણપત્ર મળ્યા

વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના ક્વોલિટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર (ક્યુ.એ.એમ.ઓ) ડો. દિવ્યેશ પટેલે જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં ગત વર્ષથી કેન્દ્ર સરકારની ટીમ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જિલ્લાની કુલ ૫૧ પીએચસીમાંથી અત્યાર સુધીમાં ૮ પીએચસીને NQAS કાર્યક્રમ હેઠળ કવોલિટી પ્રમાણપત્ર મળી ચૂક્યું છે. જેમાં સૌ પ્રથમ ધરાસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એન.ક્યુ.એ.એસ પ્રમાણપત્ર મળ્યું હતું. ત્યારબાદ ભેંસધરા-ધરમપુર, સિદુમ્બર-ધરમપુર, સરઈ-ઉમરગામ, વાંકલ-વલસાડ, વટાર-વાપી, સુખાલા-કપરાડા પીએચસી અને હવે માંડવા – કપરાડા પીએચસીને આ પ્રમાણપત્ર મળ્યું છે. દર ૩ વર્ષે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા આ સર્ટિફીકેટ મેળવવું જરૂરી છે.

Related posts

જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને ચીખલી તાલુકા સેવાસદનમાં યોજાયેલા તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણમાં નવ જેટલા પ્રશ્નો રજૂ થયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.૧૬મીએ ‘‘વિશ્વ ડેન્‍ગ્‍યુ દિવસ”ની ઉજવણી કરાશે

vartmanpravah

મત્‍સ્‍યોદ્યોગ મંત્રાલય નવી દિલ્‍હીના આદેશથી દીવના માછીમારોને 1 જૂન- 2024 થી 31 જુલાઈ-2024 સુધી દરિયો નહિ ખેડવા જિલ્લા તંત્રની સૂચના

vartmanpravah

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 સંદર્ભે મતદાર યાદી નિરિક્ષક ડી.એચ.શાહની અધ્‍યક્ષતામાં રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ સાથે બેઠક મળી

vartmanpravah

વાપીના ભડકમોરામાં શિવસેના કાર્યાલયમાં રક્‍તદાન શિબિર અને નિઃશુલ્‍ક ચેકીંગ કેમ્‍પ યોજાયો: પ્રતિવર્ષની જેમ બાળા સાહેબના જન્‍મ દિન નિમિત્તે શિવસેના દ્વારા કરાયેલુ આયોજન

vartmanpravah

તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠકની તારીખમાં ફેરફાર

vartmanpravah

Leave a Comment