દિલ્હીના ઉપ રાજ્યપાલના પદમાં રહેલી અમર્યાદિત વહીવટી ઈચ્છાશક્તિનો ઉપયોગ લોક કલ્યાણ માટે કરવા પ્રફુલભાઈ પટેલની મહારથ : પ્રધાનમંત્રીએ લક્ષદ્વીપ માટે કરેલા પ્રયોગનું મળેલું હકારાત્મક પરિણામ
રાજકારણમાં શાસક પક્ષો દ્વારા પોતાના જન સમર્થનને વધારવા પેઈડ કાર્યકર્તાઓના શરૂ થયેલા દોરથી સરકારી તિજોરી ઉપર પડતા ભારણની સમીક્ષા કરવા એલ.જી.પાસે નૈતિક અને વહીવટી તાકાત પણ હોવી જોઇએ
સોમવારની સવાર
દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલે ગઈકાલ તા. 12મી, માર્ચના રોજ બપોરના 2:29 વાગ્યે ટ્વીટ કર્યુ હતું કે, ‘‘શું લક્ષદ્વીપના પ્રશાસક શ્રીમાન પ્રફુલ પટેલ દિલ્હીના અગામી એલ.જી.બની રહ્યા છે?” આ ટ્વીટથી સંઘપ્રદેશ સહિત સમગ્ર દેશમાં પણ એક ચર્ચા છેડાવા લાગી છે કે, દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલથી ડરે છે કે કેમ? અથવા ઈરાદાપૂર્વક આ મુદ્દાને ઉછાળી પોતાની રાજકીય જમીન વિસ્તારવા માંગે છે કે કેમ?
અત્રે નોંધનીય છે કે,દિલ્હીના ઉપ રાજ્યપાલ પાસે સરકારની તમામ સત્તા કેન્દ્રીત છે. જે પ્રમાણે લક્ષદ્વીપ અને દાદરા નગર હવેલી તથા દમણ-દીવમાંપ્રશાસક તરીકેની પોતાની સત્તાનો ઉપયોગ કરી શ્રી પ્રફુલભાઈ પટેલે કરેલા પરિવર્તનો આંખની સામે છે. લક્ષદ્વીપમાં તદ્દન વિપરીત પરિસ્થિતિ હોવા છતાં પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે એક પછી એક શરૂ કરેલા રી-ફોર્મના કારણે પડોશના રાજ્ય કેરલ જ નહી, પરંતુ પડોશનું રાષ્ટ્ર માલદીવની પણ બોલતી બંધ થઈ ચૂકી છે અને આવતા દિવસોમાં વૈશ્વિક પ્રવાસનનો મોટો હિસ્સો લક્ષદ્વીપ પડાવી લેશે એવો ડર પણ માલદીવને બેઠો છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ કે દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં આવતા તમામ પ્રશાસકોએ પોતાની સત્તાનો ઉપયોગ ખુબ જ સિમિત રીતે કર્યો હતો. જેના કારણે આ પ્રદેશોમાં ભ્રષ્ટાચાર, ભાઈગીરી, સગાવાદ જેવા અનેક દુષણો પેદા થયા હતા. જેના પરિણામે વિકાસની વ્યાખ્યા રોડ, લાઈટ અને પાણી સુધી મર્યાદિત બની ચૂકી હતી. પરંતુ પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ તેમણે એક પછી એક શરૂ કરેલા પ્રોજેક્ટોના કારણે લક્ષદ્વીપ તથા દાદરા નગર હવેલી અને દમણ-દીવને પોતાની એક નવી વૈશ્વિક ઓળખ મળી છે.
દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલને ડર એ વાતનો છે કે શ્રી પ્રફુલભાઈ પટેલ જેવા એલ.જી.ની નિમણૂક કરવામાં આવી તો તેમની ટોળકી દ્વારા થતા વહીવટ ઉપર રોક લાગશે. રાજકારણમાં પેઈડ કાર્યકર્તાઓનો જે દોર શરૂ થયોછે, તેના ઉપર પણ શ્રી પ્રફુલભાઈ પટેલ જેવા એલ.જી. નવી રૂપરેખા આપી શકે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા વ્યાપક પ્રજા હિતને ધ્યાનમાં રાખી નિર્ણય લેવા માટે ટેવાયેલા છે. ત્યારે, દિલ્હીના ઉપ રાજ્યપાલ પદે કોઈની પણ નિમણૂક કરે પરંતુ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક તરીકે હજુ બે વર્ષ શ્રી પ્રફુલભાઈ પટેલ જ રહેવા જોઈએ એવો વ્યાપક જનમત છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના સાડા પાંચ વર્ષ પૂર્ણ થયા છે. પરંતુ બે વર્ષનો સમયગાળો કોરોના મહામારીના કારણે બિનઉત્પાદક રહેવા પામ્યો છે. જેની અસર દાદરા નગર હવેલી અને દમણ-દીવના થઈ રહેલા પરિવર્તન ઉપર પણ પડી છે. હવે સંઘપ્રદેશ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓના બદલાયેલા વર્ક કલ્ચરની અસર તેમના સ્ટાફ ઉપર પણ પડી છે. પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પોતાની એ.સી. ચેમ્બર છોડી દુરના ગામડાઓમાં લોકોની પાસે જતા થયા છે. હવે લોકો પ્રશાસન પાસે નહી, પરંતુ પ્રશાસન લોકો પાસે પહોંચી રહ્યું છે. હજુ ક્યાંક ક્યાંક ત્રુટીઓ અવશ્ય છે પરંતુ જ્યારે સમગ્ર પ્રશાસનમાં હકારાત્મકતાનો જોશ જામેલો છે ત્યારે, બાકી રહેલા વિભાગોમાં પણ પરિવર્તન આવશે એવો જુસ્સો અધિકારીઓ અને સરપંચ, કાઉન્સિલર તથા જિલ્લા પંચાયતના સભ્યો જેવાજનપ્રતિનિધિઓમાં પણ દેખાય છે.
સોમવારનું સત્ય
જ્યારે ગોવા, દમણ અને દીવનું સંયુક્ત શાસન હતું ત્યારે ગોવાના પણજીમાં બેસી ઉપ રાજ્યપાલ દમણ-દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક તરીકેનો વહીવટ સંભાળતા હતા. શ્રી પ્રફુલભાઈ પટેલને દિલ્હીના ઉપ રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવે અને દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક તરીકેનો વધારાનો અખત્યાર પણ તેમની પાસે રહે તો તેઓ દિલ્હીથી પણ આ ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશોનો વહીવટ ખુબ જ સરળતાથી સંભાળી શકે છે.