-
રવિવારે સવારે 11 થી 1 કલાક 24 કેન્દ્રો પર 6011 ઉમેદવારો નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદારની પરીક્ષા આપશે
-
પરીક્ષા બિલ્ડીંગોની આજુબાજુ 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઝેરોક્ષ મશીનો બંધ રહેશે
-
પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના 30 મીનિટ પહેલા પ્રવેશ મેળવી લેવાનો રહેશે, 11 વાગ્યા બાદ પ્રવેશ મળશે નહીં
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
વલસાડ, તા. 12: ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આયોજિત નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ (જા.ક્ર.-10/2022-23)ની પરીક્ષા વલસાડ જિલ્લામાં તા.16 ઓક્ટોબર 2022ને રવિવારે 24 પરીક્ષા કેન્દ્રો ખાતે લેવાનાર છે. જેમાં 6011 ઉમેદવારો પરીક્ષા આપનાર છે. પરીક્ષામાં પેપરનો સમયગાળો સવારે 11:00 કલાકથી બપોરે 01:00 કલાક સુધીનો રહેશે. પરીક્ષાર્થીઓ વિશ્વાસ સાથે નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે બુધવારે સવારે 11:00 કલાકે જિલ્લા કો-ઓર્ડીનેટર અને કલેકટરશ્રી ક્ષિપ્રા એસ. આગ્રેની અધ્યક્ષતામાં કલેકટરની ચેમ્બરમાં પરીક્ષાલક્ષી બેઠક યોજવામાં આવી હતી. જેમાં તમામ આનુસંગિક બાબતો આવરી લેવાઈ હતી. કલેકટરશ્રી દ્વારા પરીક્ષાલક્ષી સુચારૂ આયોજન કરી પરીક્ષાની તમામ કામગીરી તટસ્થ રીતે કરવાની સંબંધિત તમામ અધિકારીઓને સૂચના આપી હતી.
તમામ પેટા પરીક્ષા કેન્દ્રો પર ભૌતિક સગવડો જેવી કે ફરજિયાત સી.સી.ટી.વી. કેમેરાની સગવડ, બ્લોકની વ્યવસ્થા, કંપાઉન્ડ, લાઇટ, પંખા, પીવાના પાણીની સુવિધા સાથે ઉપલબ્ધ છે. આ પરીક્ષા સંદર્ભે કલેક્ટર કચેરીના સ્ટાફ, જિલ્લા તિજોરી કચેરીના સ્ટાફ (કન્ટ્રોલ રૂમ), જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરીના સ્ટાફ, જિલ્લા શિક્ષણાધિકારીના સ્ટાફ અને પરીક્ષા સ્થળો પર સ્થળ સંચાલકશ્રીઓ અને પરીક્ષા સ્થળનો તમામ સ્ટાફ, 5-ઝોનલ અધિકારીશ્રીઓ, 24-આયોગના પ્રતિનિધિશ્રીઓ, 24-તકેદારી સુપરવાઇઝરશ્રીઓ તરીકે વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે.
પરીક્ષા સમય દરમ્યાન પરીક્ષા બિલ્ડીંગોની આજુબાજુ 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઝેરોક્ષ મશીનો બંધ રાખવા, પરીક્ષાર્થીઓ પરીક્ષામાં કોઇપણ પ્રકારનું ઇલેક્ટ્રોનિક, ડિજિટલ કે સ્માર્ટ ઉપકરણો અને બિન અધિકૃત સાહિત્યનો ઉપયોગ ન કરવા માટે કલેકટરશ્રી દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ની કલમ-144 હેઠળનું જાહેરનામું લાગુ કરાશે. પરીક્ષાલક્ષી તમામ સાહિત્ય લાવવા કે લઈ જવા માટે, સ્ટ્રોંગરૂમ/ઝોન કચેરી ખાતે, તેમજ પ્રત્યેક પરીક્ષા બિલ્ડીંગો પર સલામતી વ્યવસ્થા માટે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા જરૂરિયાત મુજબનો પોલીસ બંધોબસ્ત ગોઠવવામાં આવશે.
પરીક્ષાની કામગીરીમાં સંકળાયેલા તમામ અધિકારીઓ/કર્મચારીઓ અને પરીક્ષાર્થીઓ દ્વારા કોવિડ-19 અંતર્ગત સરકારશ્રીની અદ્યતન સૂચનાઓનું પાલન કરવામાં આવશે. તમામ પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના 30 મીનિટ પહેલા પ્રવેશ મેળવી લેવાનો રહેશે. 11:00 કલાક બાદ કોઇપણ ઉમેદવારને પ્રવેશ આપવામાં આવશે નહીં.