સંઘપ્રદેશ પ્રશાસન સંવેદનશીલ નિર્ણય લઈ નવરાત્રિ મહોત્સવ માટે છૂટ આપે એવી પ્રબળ બનેલી માંગ
ડીજે અને સાઉન્ડ સિસ્ટમ સંચાલકોની પડÂõ કોઈ નેતા કે રાજકારણી પણ નહીં હોવાથી તેમનો અવાજ ઉપર સુધી નહીં પહોંચતો હોવાની પણ વ્યક્ત થતી વેદના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 10
દમણમાં કોરોના મહામારીના કારણે લગાવવામાં આવેલા નિયંત્રણોના પગલે ડી.જે. અને સાઉન્ડ સિસ્ટમ સંચાલકો અને તેમની સાથે સંકળાયેલા સેંકડો કર્મચારીઓ માટે રોજીરોટીનો પ્રશ્ન ઉભો થયો હોવાની કાકલૂદી કરી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણના ડી.જે. અને સાઉન્ડ સિસ્ટમ સંચાલકોની પડખે ઉભા રહેવા માટે કોઈ નેતા કે રાજકારણી પણ રસ લેતા નથી. જેના કારણે તેમની રજૂઆતને કોઈ બળ નથી મળી રહ્યું અને ઉચ્ચ અધિકારીઓ સુધી તેઓ પોતાનો અવાજ રજૂ કરવા નિષ્ફળ જઈ રહ્યા હોવાની બૂમ પણ પાડી રહ્યા છે.
સંઘપ્રદેશ પ્રશાસન દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ માટે સંવેદનશીલ નિર્ણય લઈ અગામી નવરાત્રિ મહોત્સવમાં ડી.જે. અને સાઉન્ડ સિસ્ટમ માટે પરવાનગી આપે એવી લોક લાગણી પણ વ્યક્ત થઈ રહી છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કોવિડ-19 મહામારી નિયંત્રણમાં હોવાની સાથે ડી.જે. અને સાઉન્ડ સિસ્ટમના સંચાલકો કોવિડ-19ની તમામ માર્ગદર્શિકાનું પાલન કરવા પણ બાંહેધરી આપી રહ્યા છે ત્યારે તેમના મરણપથારીએ પડેલા ધંધા-રોજગારને નવજીવન આપવાનો પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવે એવી માંગ પ્રબળ બની છે.