(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.17: આમધરા ગામમાં છેલ્લા ઘણા સમયથીસ્થાનિક લોકો દ્વારા વિકાસના કામોમાં ગેરરીતિની આવર નવાર ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી રહી છે. આ દરમ્યાન આજે આગામી વર્ષનું આયોજન, નરેગા યોજનાનું લેબર બજેટ, આંગણવાડી સહિતની યોજનાઓ અંગે ગ્રામસભા યોજવાની હતી. જોકે તાલુકા અને જિલ્લા કક્ષાએથી એકપણ અધિકારી ઉપસ્થિત રહ્યા ન હતા.
આમધરા ગામે ગ્રામસભામાં સરપંચ અને ડેપ્યુટી સરપંચ બન્ને ગેરહાજર હતા. જેથી ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સંજયભાઈ દ્વારા ઉપલા અધિકારીનું માર્ગદર્શન મેળવી ઉપસ્થિત વોર્ડ સભ્યો અને ગ્રામજનોમાંથી ગ્રામસભાનું અધ્યક્ષ સ્થાન લેવા જણાવ્યું હતું. પરંતુ કોઈ અધ્યક્ષ સ્થાન લેવા તૈયાર ન થતા આખરે ગ્રામસભા રદ કરવાની ફરજ પડી હતી.
ગ્રામસભામાં વિકાસના કામોમાં ગેરરીતિ સંદર્ભે પ્રશ્નોનો મારો ચાલશે તેવી ભીતિથી સરપંચ હાજર ન રહ્યા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા હતા. વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ સરપંચ દ્વારા રજા રીપોર્ટ આપી ટીડીઓ પાસેથી રજા મંજૂર કરાવાની હોય છે. પરંતુ સરપંચે તલાટીને રજા રિપોર્ટ આપ્યો હતો અને ડેપ્યુટી સરપંચે તો રજા રિપોર્ટ પણ આપ્યો ન હતો.
ગ્રામજનો દ્વારા હવે સરપંચ અને તાલુકા-જિલ્લાના અધિકારીઓ હાજર રહે ત્યારે જ ગ્રામસભા યોજવી તેમસ્પષ્ટ પણે જણાવી દેતા ગ્રામસભા આખરે રદ્ કરવામાં આવી હતી.