(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.17: આજરોજ શ્રી સમસ્ત મતિયા પાટીદાર વાડી, નવસારી ખાતે 50 લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમનો શુભારંભ આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલે કરાવ્યો હતો. સમગ્ર રાજયમાં 50 લાખ લાભાર્થીઓને પી.વી.સી. આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ 260 જગ્યાએ યોજાયો હતો. જે પૈકી નવસારી જિલ્લામાં પાંચ લાખથી વધુ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરાશે.
આ અવસરે મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરકારે આરોગ્ય ક્ષેત્રે વિશેષ માળખું ઉભુ કર્યુ છે. રાજ્યના ગરીબ નાગરિકોને મોંઘી સારવારના ખર્ચાઓમાંથી બચાવવા માટે દિર્ઘદ્રષ્ટ્રા તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ-2012 માં મુખ્યમંત્રી અમૃતમ યોજના અમલી બનાવી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2018માં રાષ્ટ્રકક્ષાએ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના સમગ્ર દેશભરમાં લાગુ કરી વિશ્વની સૌથી મોટી આરોગ્ય વિમા યોજના છે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી પિયુષભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સરકારે છેવાડાનામાનવીના ઉત્થાન માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે 108 એમ્બ્યુલન્સ, જનની સુરક્ષા યોજના, બાલસખા યોજના, મુખ્યમંત્રી અમૃતમ યોજના, ખીલખીલાટ સહિતની આરોગ્યલક્ષી યોજનાઓ થકી સરકારે અવિરત સેવા યજ્ઞ આરંભ્યો છે. ગરીબોને સમર્પિત સરકાર છે.
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પીએમજેએવાય-માં કાર્ડના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો.
આ પ્રસંગે નવસારી-વિજલપોર નગરપાલિકાના પ્રમુખશ્રી જીગીશ શાહ, પ્રદેશ મંત્રીશ્રી શીતલબેન સોની, જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગર, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.દિલીપ ભાવસાર, જિલ્લા પંચાયતના વિવિધ સમિતિઓના અધ્યક્ષશ્રીઓ, પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.