એક વર્ષમાં જીઆઈડીસીમાં આગના 135 બનાવમાં ધરપકડ અને ફરિયાદની પાછીપાની
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: વાપી ડુંગરી ફળીયામાં હાલમાં જ ભંગારના 17 જેટલા ગોડાઉનોમાં એકસાથે આગ લાગી હતી. આગ 12 કલાકે કાબુ કરાઈ હતી. આગમાં ભંગારનો માલ-સામાન સાથે બે ટ્રકો પણ બળીને ખાખ થઈ ગઈ હતી તેમજ આજુબાજુમાં આવેલ રહેણાંક વિસ્તાર પણ કલાકો સુધી કાંપતો રહ્યો હતો. આઝાદનગર રેસિડેન્સીના નિવાસીઓ ઘર છોડી ભાગી પણ છૂટયા હતા. અંતે પોલીસે હાથ ધરેલી આગના બનાવની તપાસમાં 13 જેટલા ભંગારીયાની ગુનાહિત બેદરકારી સબબ ધરપકડ કરી છે.
ડુંગરા પોલીસે હાથ ધરેલી તપાસ બાદ શુક્ર-શનિએ ધરપકડની કાર્યવાહી કરી હતી. જેમાં આરોપી વાહીદ, મોહીદ્દીન, અબ્દુલ, રામનરેશ, મોહંમદ કયુમ, શીવપૂજન યાદવ, મોહમદનબીજ, મોહંમદ ઈસ્માઈલ, શબરોજખાન, મોહંમદ ઈલીયાસ, અબ્દુલ કાદીર, ફહીમુલ્લા અને રવિકિશન ગુપ્તાની ધરપકડ કરાઈ છે. આ તમામ પાસે ભંગારનો વ્યવસાય પેટે કોઈ કાગજી દસ્તાવેજ મળેલા નથી. ઉલ્લેખનીય છે કે, એક વર્ષમાં જીઆઈડીસીમાં આગના 135 બનાવ બન્યા છે. ટુંકમાં એવરેજ બીજા ત્રીજા દિવસે આગ લાગી છે છતાંય તંત્ર તરફથી લાપરવાહી સ્પષ્ટ દેખાઈ રહી છે. વાપીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાત કાગળ ઉપર છે. પાંચ વર્ષથી માત્ર વાતો જ ચાલે છે. આગ લાગવાના બનાવોમાં ડુંગરી ફળીયા જેવા બનાવમાં પોલીસે દાખવેલી કુશળતા અન્ય બનાવોમાં ઓછી જોવા મળી હતી.