સાકાર વાંચન કુટીર મરઘમાળ મુકામે ત્રિવેણી કાર્યક્રમ યોજાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: સાકાર વાંચન કુટીર મરઘમાળ મુકામે મહામાનવ ડૉ.એ.પી.જે અબ્દુલ કલામ જન્મ જયંતિની ઉજવણી તથા વ્યક્તિ વિશેષનું સન્માન દ્વારા સાકાર વાંચન કુટીર મરઘમાળના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મરઘમાળ ગામે સાકાર વાંચન કુટીરના સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે તથા મહામાનવ ડૉ.એ.પી.જે અબ્દુલ કલામ જન્મજયંતી નિમિત્તેએક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદઘાટન મોડેલ સ્કૂલ માલનપાડાના આચાર્ય ડૉ.વર્ષાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભવોએ ડૉ.એ.પી.જે અબ્દુલ કલામ તથા સ્વ.દિનેશભાઈ એન. પટેલના ફોટોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે જયંતીભાઈ પટેલ શીતળ છાયડો લાઈબ્રેરીના સ્થાપક જયેશભાઈ ગરાસીયા પ્રમુખ ટીચર સોસાયટી ધરમપુર, ડૉ. વિરેન્દ્ર ગરાસીયા, અનિલ ગરાસીયા, હર્ષાબેન પટેલ, ભાવિકાબેન પાનેરીયા, વિલાસબેન ગરાસીયા, મહેન્દ્રભાઈ ગરાસીયા, રાકેશભાઈ ગરાસીયા, જગદીશભાઈ ગરાસીયા, રાજેશભાઈ પટેલ, નરેશભાઈ પટેલ સરપંચ કાકડવેરી ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.
ડૉ.વર્ષાબેન પટેલે ડૉ.એ.પી.જે અબ્દુલ કલામના જીવન તથા કાર્યોની ઝાંખી કરાવી જીવનમાં વાંચન તથા શિક્ષણના મહત્વ વિશે સમજાવી સાકાર વાંચન કુટીરનો ગામના યુવાનો, વિદ્યાર્થીઓને મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
રેઈન્બો વોરિયર્સ ધરમપુરની અનોખી પરંપરા મુજબ ધરમપુર ટીચર સોસાયટીના પ્રમુખ જયેશભાઈ ગરાસીયાનું શાલ ઓઢાડી, પુષ્પછોડ આપી તથા ભાવિકાબેન પાનેરીયાનું પુષ્પછોડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગામના માજી સરપંચ ગમનભાઈ, પિયુષભાઈ, ડેપ્યુટી સરપંચ રાજેશભાઈ,ગ્રામ પંચાયતના સભ્યો, તેજસ પટેલ, જતીન પટેલ, સંજય પટેલ, પરેશ પટેલ, મિથુન પટેલ, મિતેશ પટેલ, ગામના યુવાનો આગેવાનો, વિદ્યાર્થીઓ, રેઈન્બો વોરિયર્સ ધરમપુર ગ્રુપના સભ્યો, કાકડવેરી ગામના સરપંચ, નાની ઢોલડુંગરી, બામટીના યુવાનો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમનું સંચાલન ગામના સરપંચ રજનીકાંત પટેલ તથા રેઈન્બો વોરિયર્સ ધરમપુરના કો. ઓર્ડીનેટર શંકર પટેલે કર્યું હતું.