(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : વાપી-દાદરા નગર હવેલીના સીમાડાનું ગામ લવાછા સ્થિત રામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં પવિત્ર શ્રાવણ મહિનામાં દ્વાદશ જ્યોતિર્લિંગ કથા શિવચરિત્ર અને રુદ્રાક્ષ શિવલિંગ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે આજે શ્રી છોટુભાઈ નારણભાઇ પટેલના નિવાસસ્થાનેથી પોથી અને કળશયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં પુરુષો, મહિલાઓ, બાળકીઓ, કથાકાર શ્રી દર્શનભાઈ સહિત ભાવિકભક્તો જોડાયા હતા. આ પોથીયાત્રાને કથા સ્થળ પર પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ શિવકથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દ્વાદશ જ્યોતિર્લિંગ કથાનું રસપાન શ્રી દર્શનભાઈ દેવુભાઈ જોષી-ખેરગામવાળા કરાવશે. કથાનો સમય બપોરે બે વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા દરમ્યાનનો છે.
રુદ્રાક્ષ શિવલિંગ પર રુદ્રાભિષેકનો સમય સવારે 10:00 વાગ્યાથી બપોરે 12:00 વાગ્યાસુધીનો રહેશે. શિવકથાને 11ઓગસ્ટના રોજ વિરામ આપવામાં આવશે. રામેશ્વર મંદિર ટ્રસ્ટના સભ્યો દ્વારા આ શિવકથાનો લાભ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.