(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.20: વાંસદા તાલુકાને અડીને આવેલ ચીખલી તાલુકાના છેવાડાના માંડવખડક, સારવણી સહિતના ગામોમાં સવારે લોકો રૂટિન મુજબ કામોમાં વ્યસ્ત હતા. તે દરમ્યાન સવારના 10.26 કલાકે ધરતીકંપનો આંચકો આવતા ધરાધ્રુજી ઉઠવા સાથે ઘરમાં વાસણો પણ રણકી ઉઠ્યા હતા. અને ફરીવાર લોકોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો.
નોંધનીય છે કે, વાંસદાનો કેલીયા ડેમ ચોમાસામાં પાણીથી છલોછલ થઈ ગયા બાદ કેલીયાડેમ નજીકના ગામોમાં છેલ્લા ઘણા વર્ષથી આ રીતે અવાર નવાર આંચકા આવતા રહે છે. જોકે તંત્ર દ્વારા અગાઉના વર્ષોમાં આ વિસ્તારમાં તીવ્રતા માપવા માટે સીસ્મોગ્રાફી યંત્ર મૂકાયું હતું. પરંતુ બાદમાં ઊંચકી લેવાયું હતું. છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારે અવાર નવાર આંચકા આવતા લોકોમાં ડરનો માહોલ ઉભો થાય એ સ્વાભાવિક છે. જોકે કોઈ નુકશાની ન થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
સારવણીના અગ્રણી સુનિલભાઇના જણાવ્યાનુસાર દર વખતે કરતા આજના આંચકની તીવ્રતા વધુ હતી. અને 6 થી 7 સેકન્ડ જેટલો સમય ભૂકંપનો ચાલુ રહ્યો હતો. ખરેખર જવાબદાર અધિકારીઓ દ્વારા અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ લોકો સાથે સંવાદ કરવો જોઈએ પરંતુ કોઈઅધિકારી આવતા નથી.