બાંધકામ સાથે સંકળાયેલા હજારો શ્રમજીવીઓ દિવાળી ટાણે વતન જતા હોય છે તેથી એસ.ટી. એ સેવા વધારી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.20: આગામી શનિવારથી દિવાળી પર્વનો પ્રારંભ થતો હોવાથી વલસાડ જિલ્લામાં વસતા બાંધકામ કામગીરી સાથે સંકળાયેલા શ્રમજીવી પરિવારો મોટા ભાગે દિવાળી કરવા માટે વતનમાં જતા હોય છે અને તેનો ધસારો વધુ રહેતો હોય છે તેથી વલસાડ એસ.ટી. ડિવિઝન દ્વારા દિવાળી નિમિત્તે વધુ 126 ટ્રીપ દોડાવવાનો નિર્ણય લીધો છે. જેમાં 50 બસની ફાળવણી કરી છે.
ડિવિઝનલ એસ.ટી. કન્ટ્રોલર બી.એસ. શર્માના જણાવ્યા મુજબ વલસાડ ડિવિઝનમાં આવતા તમામ વાપીથી નવસારી સુધી આવતા છ ડેપોમાં દિવાળી પર્વ અંતર્ગત વધુ 50 બસો 126 નવી ટ્રીપો દોડાવશે. જેમાં ઉત્તર ગુજરાત, ભૂજ, સૌરાષ્ટ્ર, પંચમહાલ, હાલોલનો સમાવેશ કરાયો છે. ખાસ કરીને વલસાડ જિલ્લામાં બાંધકામ ક્ષેત્રમાં સંકળાયેલાહજારો શ્રમજીવી પરિવારો દિવાળી કરવા વતન જતા હોય છે અને તેમને સુવિધા મળી રહે તે હેતુથી એસ.ટી. વલસાડ વિભાગ વધુ 50 બસો આજથી તા.22 ઓક્ટોબર દોડાવશે.