(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.20 : ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલય અંતર્ગત દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રી પ્રફુલભાઈપટેલના દિશા-નિર્દેશ અનુસાર અને શિક્ષણ સચિવ શ્રી અંકિતા આનંદના માર્ગદર્શનમાં રાષ્ટ્રીય સેવા યોજના દાનહ અને દમણ-દીવની એનએસએસ એકમ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિશેષ સ્વચ્છ ભારત કાર્યક્રમ 2.0 અંતર્ગત સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશના ત્રણેય જિલ્લાના સ્વયંસેવકો દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટીક એકત્રિત કરી સ્વચ્છતા જાગૃતિ સંદેશ દ્વારા સામાજીક ફરજનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે દાનહ જિલ્લાના કાર્યક્રમ અને રાષ્ટ્રીય સેવા યોજનાના રાજ્ય એન.એસ.એસ. અધિકારી શ્રી ગૌરાંગ વોરા, શિક્ષણ અધિકારી શ્રી બી.બી.પાટીલ અને કાર્યક્રમ સમન્વયક શ્રીમતી મનીષાબેન પટેલની ઉપસ્થિતિમાં ‘સ્વચ્છતા કાર્યક્રમ’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જ્યારે દમણ જિલ્લાના કાર્યક્રમ સમન્વયક શ્રી રાજેશ હળપતિના માર્ગદર્શનમાં દમણમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને દીવ જિલ્લામાં શિક્ષણ અધિકારી શ્રી આર.કે.સિંગના માર્ગદર્શનમાં કાર્યક્રમ યોજાયો હતો.
‘સ્વચ્છ ભારત’ કાર્યક્રમ 2.0નું આયોજન દાદરા નગર હવેલી અને દમણ દીવ જિલ્લાના નગરપાલિકા અને પંચાયતના અધિકારીઓ અને જન પ્રતિનિધિઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન એન.એસ.એસ.ની ટીમ દ્વારા ત્રણ ટન જેટલો સિંગલ યુઝ પ્લાસ્ટિક અનેઅન્ય કૂડો-કચરો ભેગો કર્યો હતો.