રવિ ષષ્ઠી વ્રત તરીકે ઓળખાતા આ પર્વને નદીઓના ઘાટ ઉપર ભગવાન સૂર્યનારાયણની પૂજા અર્ચના અને ઉપવાસ રાખી ભાવિકોએ ઉજવણી કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.30: કારતક માસના શુકલ પક્ષ ષષ્ઠી તિથિએ ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠ્ઠ પૂજા પર્વની અત્યંત શ્રધ્ધા સાથે ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત આજે આથમતા સૂર્ય ભગવાનને અર્ક ચઢાવી વાપી, ટુકવાડા, અતુલ તથા વલસાડમાં વિવિધ નદીના ઘાટ ઉપર પરંપરાગત છઠ્ઠ પૂજા કરવામાં આવી હતી. અતિ મહિમાવંત છઠ્ઠ પૂજામાં નદીના ઘાટો ઉપર માનવ મહેરામણઉમટી પડયો હતો. પૂજા, અર્ચના, આરતી કરી ભગવાન સૂર્યનારાયણને અર્ક ચઢાવાયો હતો. બહેનો, બાળકો અને મોટેરા સૌ કોઈ છઠ્ઠ પૂજામાં જોડાયા હતા.
છઠ્ઠ પૂજા આમ તો સૂર્ય ભગવાનની ઉપાસના સાથે ચાર દિવસીય વ્રત હોય છે. જેનો પ્રારંભ ચતુર્થિથી શરૂ થાય છે. પંચમીના દિવસે બહેનો, ભાઈઓ 24 કલાકનો ઉપવાસ રાખી વ્રત કરે છે. છઠ્ઠના દિવસે ભગવાન સૂર્યનારાયણ પૂજા બાદ ઉપવાસ છોડે છે તેમજ સાતમના દિવસે સવારે ઉગતા સૂર્યની પૂજા કરીને વ્રત પૂર્ણ કરે છે. વાપીમાં દમણગંગા નદી તટે, અતુલમાં પાર નદી તટે તથા વાપીમાં ટુકવાડા કોલક નદી કિનારે સાંજના પાંચ વાગ્યા પછી ઉત્તર ભારતીય સમાજનો માનવ મહેરામણ છઠ્ઠ પૂજાએ ઉમટી પડયો હતો.