સંઘપ્રદેશમાં સર્વધર્મ સમભાવના પ્રતિક બનેલા શૌકત મિઠાણી ગણેશોત્સવ અને નવરાત્રિમાં પણ ઉત્સાહથી લેતા ભાગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.30 : નાની દમણના ખારીવાડ વિસ્તારથી સાંઈ ભક્તોની પદયાત્રા નીકળી હતી. જેમાં 200 જેટલા યુવાનો, યુવતીઓ, મહિલાઓ અને આગેવાનો પુરૂષ પદયાત્રીઓ મોટી સંખ્યામાં પદયાત્રાએ રવાના થયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ નાની દમણના મીટનાવાડથી આ પદયાત્રા પાછલા 18 વર્ષોથી સતત યોજાઈ રહી છે. જેમાં ખારીવાડના માઈનોરિટી મોર્ચાનાઅધ્યક્ષ શ્રી શૌકતભાઈ મીઠાણી પદયાત્રીઓનો ઉત્સાહ વધારવા તેમની વચ્ચે પહોંચીને સાંઈબાબાની પાલખી લઈ ચાર પાંચ કિલોમીટર સુધી ચાલે છે, તેમજ પદયાત્રીઓની જરૂરિયાતનું પણ ધ્યાન રાખે છે, આ સાંઈ બાબાની પાલખી સાથે પદયાત્રાનો ઉદ્દેશ્ય દમણ-દીવ સાથે સંપૂર્ણ ભારતમાં શાંતિ પ્રેમ અને ભાઈચારો કાયમ રહે અને ભારતવાસીઓમાં એકતા બની રહે એવી ભાવના સાથે આ પદયાત્રીઓ દમણથી શિરડી સુધી સાંઈબાબાના દરબારમાં પગપાળા દર્શને માટે પહોંચે છે. શ્રી શૌકતભાઈ મીઠાણી ફક્ત સાંઈ ભક્તોની પાલખી યાત્રામાં જ નહીં, તેઓ ગણેશ ઉત્સવ અને નવરાત્રીમાં પણ આટલા જ ઉત્સાહથી ભાગ લઈ ભક્તોનો ઉત્સાહ વધારતા રહે છે.