વૈભવ હરીરામ યાદવ, દિનેશ મોતીચંદ ગૌડને પોલીસે ઝારખંડના ધનબાદ જિલ્લામાંથી દબોચ્યા : સેંકડો ગુના નોંધાયેલા છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.23: ગત તા.08 મે ના રોજ કોચરવા, વાપી મહાદેવ મંદિર પાસે ભાજપના નેતા શૈલેષ પટેલ ઉપર ગોળીબાર કરી હત્યા થઈ હતી. 19 લાખમાં અપાયેલ સોપારીના આ હત્યા પ્રકરણમાં વધુ બે શાર્પશૂટરને પોલીસે ઝારખંડ રાજ્યના ધનબાદ જિલ્લામાંથી ઝડપીપાડયા છે. આ બે શાર્પશૂટર સાથે અત્યાર સુધીમાં કુલ 10 આરોપી ઝડપાઈ ગયા છે.
શૈલેષ પટેલની હત્યા બાદ પોલીસે હત્યા પ્રકરણની એક એક કડી ઉકેલી નાખી છે. અત્યાર સુધીમાં કોચરવાનો વિપુલ ઈશ્વર પટેલ, મિતેશ ઈશ્વર પટેલ, શરદ ઉર્ફે શદીયો, અજય ગામીત, સત્યેન્દ્રસિંહ ઉર્ફે સોનુ રાજપૂત સહિત મદદગારી કરનાર નિલેશ આહિર, મિલન પટેલ, પરિક્ષિત આહીર સહિત પોલીસએ ઝારખંડ રાજ્યના ધનબાદ જિલ્લામાંથી વૈભવ હરીરામ યાદવ અને દિનેશ મોતીચંદ ગૌડ બે શાર્પશૂટરોને ધનબાદ પોલીસની મદદથી વલસાડ પોલીસે પકડી લીધા છે. બન્ને આરોપીઓ વિરૂધ્ધ ખંડણી, હત્યા, અપહરણ જેવા ઢગલાબંધ ગુનાઓ નોંધાયેલા છે. બે પૈકી એક શાર્પશૂટર આરોપી વૈભવ યાદવ બી.એ. સુધી ભણેલો છે. જ્યારે દિનેશ ગૌડ ધો.12 સુધી અભ્યાસ કરેલો છે. શનિવારે જિલ્લા પોલીસ વડા ઝાલા અને પોલીસ અધિકારીઓની ટીમે કોચરવા મંદિરે અને પંડોરની વાડીએ બન્ને શાર્પશૂટરો સાથે રિકન્સ્ટ્રકશન કર્યું હતું. આ શૂટરો અમનસીંગની ગેંગના સભ્ય છે. ગેંગમાં 50 જેટલા શાર્પશૂટરોએ અપરાધની દુનિયા વસાવેલી છે.