-
ભારતના ભાવિના ઘડતરની જવાબદારી શિક્ષકોના હાથમાં : પ્રશાસક પ્રફુલભાઈ પટેલ
-
રોજગાર મેળામાં 245 શિક્ષકો અને 3 જુનિયર એન્જિનિયરોને આપવામાં આવ્યા નિમણૂક પત્ર
-
વિધાનસભા નહીં ધરાવતા સંઘપ્રદેશોમાં એક માત્ર દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં જ સ્ટાફ સિલેક્શન બોર્ડનું કરાયેલું ગઠન
-
સ્ટાફ સિલેક્શન બોર્ડ દ્વારા કરવામાં આવેલી પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત ભરતીની જાહેરમાં કરાયેલી પ્રશંસા
-
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ઉદ્યોગોને પણ રોજગાર મેળાનું આયોજન કરવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલની તાકિદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.31: સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આજે દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આયોજીત રોજગાર મેળામાં 248 ઉમેદવારોને ભરતી માટે નિયુક્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, મેળા કે મેળાવડા અનેક થતા હોય છે. પરંતુ તેમાં જનારાને ખર્ચ કરવો પડે છે. જ્યારે આજે આયોજીત મેળામાં 248 ઉમેદવારોને દર મહિને પગાર મળવાનો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શિક્ષણ માટે સિમિત વ્યવસ્થા હતી.પરંતુ પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમન બાદ ઉચ્ચ શિક્ષણના અનેક દ્વારો આ ટચૂકડા પ્રદેશમાં ખોલી નંખાયા છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રદેશમાં વ્યક્તિનું ભવિષ્ય ઉજ્જવળ બને તેવી ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા નહીં હતી. આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદથી દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મેડિકલ, એન્જિનિયરિંગ, નર્સિંગ, નર્સિંગ પોસ્ટ ગ્રેજ્યુએટ, ત્રિપ્પલ આઈ.ટી., ફેશન ડિઝાઈન જેવા અભ્યાસક્રમો સાથેની કોલેજનો આરંભ થઈ શક્યો છે.
આજે રોજગાર મેળામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કુલ 245 ઉમેદવારોને નોકરીના ઓફર લેટર પ્રદાન કરવામાં આવ્યા હતા. જેનો સંદર્ભ ટાંકતા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતના ભાવિના ઘડતરની જવાબદારી તમારા હાથમાં છે. તેમણે શિક્ષકોને આદર્શ આચાર સંહિતા સમજાવતા જણાવ્યું હતું કે, તમે ખુબ ભાગ્યશાળી છો. એક સાથે એક વર્ગમાં 60-60 જેટલા બાળકોના વાલી બનવાની તક તમને મળવાની છે. તેથી બાળકમાં શિષ્ત, સ્વચ્છતા, સમયપાલન જેવા ગુણ વિકસે તેની તકેદારી શિક્ષકે લેવી જરૂરી છે. શિક્ષકે પણ પોતાની કુટેવોને છોડી બાળકમાં સારા સંસ્કારના ઘડતર થાય તે પ્રકારની સાવચેતી રાખવા પણ શિખામણ આપી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રીપ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશમાં માત્ર બે ટકા જ સરકારી નોકરી છે. પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુદ્રા યોજના સ્ટાર્ટ અપ જેવી યોજનાના માધ્યમથી નવયુવાનોને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહન પુરૂં પાડયું છે. તેમણે દાદરા નગર હવેલી અને દમણના ઉદ્યોગોને પણ ગામે ગામ રોજગાર મેળાનું આયોજન કરી જરૂરિયાતમંદ ઉમેદવારોની ભરતી કરવા પણ તાકિદ કરી હતી અને પ્રશાસનના અધિકારીઓને પણ દિશા-નિર્દેશ આપ્યા હતા.
અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સરકારી નોકરીની ભરતી પ્રક્રિયામાં ચાલતા ભ્રષ્ટાચાર અને ભાઈ-ભત્રીજાવાદના દુષણને દૂર કરવા માટે 2017માં સ્ટાફ સિલેક્શન બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. જે વિધાનસભા નહીં ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશો પૈકીનું એક માત્ર સ્ટાફ સિલેક્શન બોર્ડ હોવાનું ગૌરવ પણ ધરાવે છે.
આજે 245 શિક્ષકો અને 3 જુનિયર એન્જિનિયરોને નોકરીના ઓફર ઓર્ડર પ્રદાન કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં નોકરી માટે પસંદ કરાયેલા ઉમેદવારો પૈકીના બે ઉમેદવારોના વાલીઓએ જાહેર મંચ ઉપરથી સ્ટાફ સિલેક્શન બોર્ડ દ્વારા કરાયેલી ભરતી પ્રક્રિયાની ભરપેટ પ્રશંસા કરી હતી. એક વાલીએ ગળગળા થઈ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો આભાર માનતાજણાવ્યું હતું કે, મારી ભત્રીજીની આર્થિક સ્થિતિ સારી નહીં હતી. તેમને અભ્યાસ માટે પરિવાર મદદરૂપ થયો હતો અને એક પણ રૂપિયો કોઈને આપ્યા વગર મળેલી નોકરી બદલ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો દિલથી આભાર પણ પ્રગટ કર્યો હતો.
પ્રારંભમાં સાંસદ શ્રી લાલુભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, દમણ ન.પા.ના અધ્યક્ષ શ્રીમતી સોનલબેન પટેલ તેમજ દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવર સહિત જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો, કાઉન્સિલરો, અધિકારીઓ તથા આગેવાનો અને ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સ્માર્ટ સીટી સેલવાસની 6 ઈ-બસોને લીલી ઝંડી બતાવી કરાવેલું પ્રસ્થાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.31: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી વિકાસ આનંદ સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં સ્માર્ટ સીટી સેલવાસની 6 ઈ-બસોને પણ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.