સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દીર્ઘદૃષ્ટિ અને તેમના દ્વારા કરાતા કઠોર પરિશ્રમના કારણે પ્રદેશના વિકાસ ઉપર લાગી રહેલી મહોર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : રાજકોટ ખાતે આયોજીત ત્રિ-દિવસીય ઈન્ડિયન અર્બન હાઉસિંગ કોન્કલેવ – 2022ના ઉદ્ઘાટન સમારંભમાં દાનહ અને દમણ-દીવને પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન(પીએમએવાય-યુ)માં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાવાળા કેન્દ્ર શાસિત પ્રદેશની વિશેષ શ્રેણીમાં જમ્મુ અને કાશ્મીર સાથે સંયુક્ત રીતે મળેલા પ્રથમ પુરસ્કારને આજે સંઘપ્રદેશના શહેરી વિકાસસચિવ શ્રી રવિ ધવન, સેલવાસ ન.પા.ના અધ્યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણ અને સેલવાસ ન.પા.ના પૂર્વ ચીફ ઓફિસર ડો. મનોજ કુમાર પાંડેયએ આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને અર્પણ કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે, સેલવાસ નગરપાલિકા દ્વારા કાર્યાન્વિત પીએમએવાય-અર્બન અંતર્ગત કુલ 1232 મકાન આવાસોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. દરેક મકાનનું નિર્માણ બાલદેવી અને આંબેડકર નગર ખાતે થઈ રહ્યું છે. આ બંને જગ્યાએ મકાનોના નિર્માણ અંતિમ ચરણમાં છે. શહેરી ગરીબ લાભાર્થીઓને બીએલસીના અંતર્ગત પોતાની જમીનનું કાચા ઘરમાં રહેતા લોકોને પોતાનું પાકું ઘર બનાવવા માટે સરકાર દ્વારા નાણાંકિય સહાય પણ પ્રદાન કરવામાં આવે છે. જેના કારણે પાકા આવાસમાં રહેતા લોકો દરેક મૌસમમાં સુવિધાપૂર્વક રહી શકે છે.
અત્રે મહત્વની વાત એ છે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવને પીએમએવાય-યુ પુરસ્કાર-2021માં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાવાળા કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે મળેલા પ્રથમ પુરસ્કાર પાછળ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની દીર્ઘદૃષ્ટિ અને તેમના દ્વારા કરાતા કઠોર પરિશ્રમનો મહત્વનો ફાળો છે. તેથી આજે પ્રદેશના ત્રણેય મહાનુભાવો દ્વારા એનાયત કરાયેલા પુરસ્કારને સંઘપ્રદેશના પ્રશાસકશ્રીને અર્પણ કરી તેમના ઋણસ્વીકારની તક ઝડપી હતી.