(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: ગ્રામીણ વિસ્તાર હોય કે શહેર, દિનપ્રતિદિન સમાજમાં આજે બધે જ શિક્ષણનું મહત્વ વધતું જોવા મળે છે. એક સશક્ત સમાજ અને દેશના મજબૂત ભવિષ્ય માટે તમામ વિદ્યાર્થીઓને ગુણવતાયુક્ત શિક્ષણ મળે તે ખુબ આવશ્યકછે. વધતી જતી મોંઘવારીમાં દરેક વિદ્યાર્થી માટે શિક્ષણ સરળ અને સુલભ બને એ માટે શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર પોતાના શૈક્ષણિક સેવાના કાર્યક્રમ હેઠળ અનેક સેવાકીય પ્રવૃત્તિ કરે છે જેથી વધુમાં વધુ બાળકો એક સુંદર ભવિષ્યનું નિર્માણ કરવા સક્ષમ બને.
ભારતના મહાન અધ્યાત્મ મૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ ભક્ત, માનવતાવાદી સંત તથા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરૂદેવ શ્રી રાકેશજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ધરમપુર અને કપરાડા વિસ્તારમાં આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, આદિ અનેક ક્ષેત્રે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે, જેનાથી લાખો લોકો લાભાન્વિત થાય છે. આમાંની વર્ષ 2006થી શરુ થયેલ ‘શ્રીમદ્ રાજચંદ્ર શૈક્ષણિક સાધન સહાય ‘અંતર્ગત ઉચ્ચ ગુણવત્તાના શિક્ષણોપયોગી સાધનો જેમ કે સ્કૂલ બેગ, અલગ અલગ સાઈઝની નોટબુક, કંપાસ બોક્સ આદિનું રાહત દરે વિતરણ કરવામાં આવે છે.
શ્રીમદ્ રાજચંદ્ર શૈક્ષણિક સાધન સહાય 2023 અંતર્ગત આ વર્ષે પણ ધરમપુર, કપરાડા, વલસાડ, નવસારી, પારડી, વાપી, ઉમરગામ, બીલીમોરા, ચીખલી, વાંસદા અને ડાંગ વિસ્તારના 60થી વધુ કેન્દ્રોમાં તા.29 મે, 2023 થી આ વિતરણ શરુ થશે, જે સ્ટોક હશે ત્યાં સુધી ચાલુ રહેશે. જાણીતી કંપનીઓ દ્વારા બનાવેલ ઉચ્ચ ગુણવત્તાના સ્ટેશનરીસાધનોનું બજાર ભાવ કરતાં આશરે 35 ટકા (પાત્રીસ ટકા) ઓછા દરે અહીં વિતરણ થશે.
આ વખતે વોટ્સએપ બોટના માધ્યમથી અગાઉથી ઓર્ડર આપી શકાય છે. પહેલેથી ઓર્ડર કરવા માટે 26મી મે સુધી વોટ્સએપ નંબર +91 70455 58080 પર ‘બુક’/ ‘Books’ મેસેજ કરી અથવા QR કોડ સ્કેન કરી ઓર્ડર કરી શકાશે.
ભારત સરકારના પર્યાવરણ માટે સંવેદનશીલ અને જવાબદાર બનવા પ્રેરિત કરતાં વૈશ્વિક અભિયાન લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ (LiFE) ની વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા નોટબુકોને માધ્યમ બનાવતાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા દરેક નોટબુકમાં પર્યાવરણ જાગૃતિની માહિતી આપતું એક ખાસ પૃષ્ઠ રાખવામાં આવ્યું છે.
શ્રીમદ્ રાજચંદ્ર શૈક્ષણિક સાધન સહાય 2023 દ્વારા દર વર્ષે અપાતાં સારી ગુણવત્તાના સાધનો રાહત દરે મેળવવા લોકો બચત કરે છે, એટલું જ નહિ પણ દૂરદૂરથી આવીને આ સેવાનો લાભ મેળવે છે. આ પ્રોજેક્ટના કારણે વિદ્યાર્થીઓમાં શિક્ષણ માટેના ઉત્સાહ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થતી જોવા મળેલ છે.