ઉદ્યોગો દ્વારા યોજાનારા ભરતી મેળામાં દાદરા નગર હવેલીના સ્થાનિક આદિવાસી શિક્ષિત યુવાનોને યોગ્ય પદ ઉપર તક મળે તેની તકેદારી રાખવા પણ કરેલી અરજ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 04 : સેલવાસ નગરપાલિકાના કાઉન્સિલર શ્રી સુમનભાઈ પટેલે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની સરકારી નોકરીઓમાં સ્થાનિકોને પ્રાધાન્ય આપવા અને ઉદ્યોગોમાં આદિવાસી બેરોજગારોને સંપૂર્ણ પ્રાથમિકતા આપવા સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને રજૂઆત કરી છે.
સેલવાસ નગરપાલિકાના કાઉન્સિલર શ્રી સુમનભાઈ પટેલે ગત તા.31મી ઓક્ટોબરના રોજ યોજાયેલ રોજગાર મેળાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, જેમાં 248 જેટલા સક્ષમ બેરોજગારોને શિક્ષક અને જુનિયર એન્જિનિયરના પદ ઉપર કાયમી નોકરીની ભરતીનો આદેશ આપવામાં આવ્યો હતો. સંઘપ્રદેશમાં 15 વર્ષ પછી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્વમાં થયેલા આયોજનની પણ તેમણે પ્રશંસા કરી હતી.
રોજગાર મેળાના સમારંભમાંસંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ઉદ્યોગ ગૃહોને તમામ પંચાયતોમાં ભરતી મેળાના આયોજન માટે કરેલી તાકિદની પણ સરાહના કરતા શ્રી સુમનભાઈ પટેલે શિક્ષિત આદિવાસીઓને ઉદ્યોગોમાં યોગ્ય પદ ઉપર રોજગાર મળે તેની તકેદારી રાખવા પણ સૂચન કર્યું છે. તેમણે નોન ગેઝેટેડ બી ગૃપ સુધીની સરકારી નોકરીમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના ડોમિસાઈલ ઉમેદવારોની જ પસંદગી થાય એવી વ્યવસ્થા કરવા પણ અરજ કરી છે.
સેલવાસ ન.પા.ના કાઉન્સિલર શ્રી સુમનભાઈ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, દાદરા નગર હવેલીના આદિવાસી યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખી પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલ જ યોગ્ય નિર્ણય લઈ ન્યાય અપાવશે.