છીરી કે.પી. વિદ્યાલયમાં બુધવારે પ્રથમવાર બિહાર દિનની ઉજવણી કરાઈ: સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ભજન સંધ્યાની રમઝટ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.23: વાપીમાં બિહાર રાજ્યના અનેક પરિવારો વેપાર રોજગાર ક્ષેત્રે વાપીને કર્મભૂમિ બનાવી સ્થાયી થયેલા છે. તેવા પરિવારો દ્વારા બિહાર વેલ્ફેર એસોસિએશન કાર્યરત છે. બુધવારે સાંજે છીરી સ્થિત કે.પી. વિદ્યાલય પરિસરમાં એસોસિએશન દ્વારા પ્રથમવાર 111મા બિહાર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
આ સમારોહમાં વાપી, દમણ અને સેલવાસ સહિત નજીકના શહેરોમાં કામ કરતા બિહાર પ્રાંતના રહેવાસીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ સમારોહની શરૂઆત સરસ્વતી પૂજનથી થઈ હતી. ત્યારબાદ દીપ પ્રગટાવી સમારોહની શરૂઆત કરવામાં આવી હતી. સમારોહના મુખ્ય મહેમાન તરીકે સ્વામિનારાયણ ગુરૂકુળ સલવાવના પૂ. કપિલ સ્વામીજી અને વીઆઈએના પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. બિહાર વેલ્ફેર એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ વિપુલ સિંહે તમામ આમંત્રિત મહેમાનોનું ફૂલોથી સ્વાગત કર્યું હતું અને આવનાર મહેમાનોએ પણ તેમનું સન્માન કર્યું હતું.
બિહાર વેલ્ફેર એસો. દ્વારા આયોજીત કરાયેલ બિહાર દિવસ ઉજવણી કાર્યક્રમમાં શાળાના બાળકો, વાલીઓની ઉપસ્થિતિમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતાતબલાવાદક સંતોષ પાઠક અને ગાયક આરાધ્યા શર્માએ ભજનોની રમઝટ બોલાવી હતી. બિહાર દિવસની સાથે સાથે ગુડી પડવો, ચૈત્રી નવરાત્રિ ત્રિવેણી સંગમ પ્રસંગે બિહાર વેલ્પેર એસોસિએશનના અધ્યક્ષ વિપુલ સિંઘ સહિત ઉપસ્થિત હોદ્દેદારો અભિનંદન પાઠવ્યા હતા. ઉજવણીમાં સલવાવ ગુરુકુળના કપિલ સ્વામીએ આજના દિવસનો મહિમા તેમના પ્રવચનમાં વર્ણવ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, માતા સરસ્વતિનું સૌથી વધુ પૂજન બિહારમાં થાય છે, બિહાર પર માતા સરસ્વતીની કૃપા હંમેશા રહે છે. બિહારની નાલંદા યુનિવર્સિટી વિશ્વભરમાં પ્રખ્યાત છે. મોટાભાગના આઈએએસ અને આઈપીસી બિહારમાંથી જ બહાર આવે છે. તેમણે જણાવ્યું હતું કે બિહારીઓએ રાષ્ટ્ર નિર્માણમાં ઘણું યોગદાન આપ્યું છે. આ કાર્યક્રમ વી.આઈ.એ. પ્રમુખ કમલેશભાઈ પટેલ સહિત અગ્રણી ઉદ્યોગપતિ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે બિહાર વેલફેર એસોસિએશના રાષ્ટ્રીય અધ્યક્ષ વિપુલ સિંહ, અધ્યક્ષ ડો.કે.પી.સિન્હા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એન.કે. સિંહ, ખજાનચી અભય સિંહ, સચિવ પ્રમોદ સિંહ, સહ સચિવ શિવકાંત ઝા, કન્વીનર લક્ષ્મી ઝા, સંગઠન મંત્રી સુબોધ સિંહ, સહ સંગઠન મંત્રી રામ બાબુ ચૌધરી, રવિન્દ્ર ગિરી, દિલીપ સિંહ, સહ ખજાનચી સુનિલ સિંહ અને મહિલા સેલના પ્રમુખ સુનિતા તિવારી સહિતસંસ્થાના અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.