બોઈસરથી સાઈનાબેન નદીમભાઈ પઠાણ વલસાડ સિવિલમાં પ્રસૂતિ હેતુ ઈન્ટરસીટી ટ્રેનમાં નિકળ્યા હતા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.02: પ્રસૂતિ અનિશ્ચિતતાના અનેક કિસ્સા અવારનવાર સમાજની સપાટી ઉપર ઉજાગર થતા રહે છે. કંઈક તેવો બનાવ આજે સવારે વલસાડ પ્લેટફોર્મ ઉપર બન્યો હતો. બાંદ્રા-સુરત ઈન્ટરસીટી ટ્રેનમાં વાપીથી ઉપડયા પછી એક મહિલાને પ્રસૂતિની પીડા અચાનક ઉપડતા વલસાડ રેલવે પ્લેટ ફોર્મ ઉપર 108ની પરિચારિકાઓએ બાળકની પ્રસૂતિ કરાવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર બાંદ્રા-સુરત ઈન્ટરસીટી ટ્રેનમાં બોઈસરથી એક મુસ્લિમ પરિવાર પ્રસૂતિ માટે વલસાડ સિવિલમાં આવવા માટે આજે ગુરૂવારે સવારે નિકળ્યો હતો પરંતુ પરિવારની સાઈનાબેન નદીમભાઈ પઠાણને વાપી સ્ટેશનેથી જ પ્રસૂતિની પીડા ઉપડી હતી. પીડા અસહ્ય વધી રહી હતી તેથી વલસાડ રેલવે સ્ટેશન ઉપર જ પ્રસૂતિ કરાવવાની તજવીજ તાબડતોબ રેલવે અને 108ના સ્ટાફના સંયુક્ત પ્રયાસો થકી હાથ ધરાઈ હતી. પ્લેટફોર્મ ઉપર જરૂરી આડશો ઉભી કરીને 108ની પરિચારિકા માનસીબેન પટેલ અને સ્ટાફએ સલામત પ્રસૂતિ કરાવી હતી. માતા અને નવજાત શીશુ દુરસ્ત રહ્યા હતા. ત્યારબાદ બન્નેને વલસાડ સિવિલમાં વધુ સારવાર માટેખસેડાયા હતા.