હરિયાણા જુના અખાડાના સ્વામિ સંગમગીરી ભોપાલ અખાડાના શિવાની નંદગીરીએ દીપ પ્રગટાવી દેવ દિવાળીની ઉજવણી કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.08: કાર્તિક પૂર્ણિમા એટલે દેવોની દિપાવલીનો મહિમા ભારતવર્ષમાં વણાયેલો હોવાથી દેવ દિવાળી પણ કહેવાય છે. આજે વાપી નજીક લવાછા ગામે આવેલ પ્રસિધ્ધ રામેશ્વર મહાદેવના મંદિરમાં 11 હજાર દીપ પ્રજ્વલિત કરીને દેવ દિવાળીની સેંકડો ભાવિકોએ ઉજવણી કરી હતી.
વાપી સમસ્ત હિંદુ સંગઠનો દ્વારા લવાછા મહાદેવ મંદિરમાં દેવ દિવાળીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હરિયાણા જુના અખાડાના સ્વામિ સંગમગીરી અને ભોપાલ અખાડાના શિવાની નંદગીરી મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં મંદિર પરિસરમાં 11 હજાર દિપકો પ્રજ્વલીત કરીને દેવ દિવાળીની આસ્થા શ્રધ્ધાપૂર્વક સેંકડો ભાવિકોએ ઉજવણી કરી હતી. શ્રધ્ધાળુઓ મહાદેવને જળાભિષેક કરી પુણ્યનું ભાથુ બાંધ્યુ હતું. દેવ દિવાળીનો મહિમા દેવોની દિવાળી સાથે જોડાયેલો સમસ્ત દેવતાઓ પૃથ્વી ઉપર આવી આ પર્વની ઉજવણી કરે છે તેમજ પોતપોતાના ઘરે દિપ પ્રજ્વલીત કરી દિવાળી પર્વનીઉજવણી કરે છે. આ પર્વની ઉજવણીમાં વાપી, સેલવાસના સેંકડો શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહી દિપ પ્રગટાવ્યા હતા.