વલસાડ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુભાઈ પટેલ (મરચા)નો પ્રચાર કરશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: વલસાડ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી ઉમેદવારોના ફોર્મ ગત રોજ સોમવારે અંતિમ દિવસે ભરાઈ ચૂક્યા છે. વલસાડની બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ ખેલાશે, ભાજપમાં ઉમેદવારી સિટિંગ ધારાસભ્ય ભરતભાઈ પટેલ, કોંગ્રેસમાં કમલભાઈ પટેલ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પુર્વ પાલિકા પ્રમુખ અને સસ્પેન્ડેડ રાજુભાઈ પટેલ ઉર્ફે મરચાએ ઉમેદવારી નોંધાવી દીધી છે. ફોર્મ ભરવાની અવધિ બાદ આજથી ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર આરંભી દીધા છે. સાથે વલસાડ જિલ્લામાં હવે રાજ્ય અને રાષ્ટ્રિય નેતાઓના ચૂંટણી પ્રચાર માટે આંટાફેરા ચાલુ થઈ જશે. જેનો શ્રી ગણેશ દિલ્હીના સી.એમ. અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનો આવતીકાલે વલસાડમાં રોડ શો યોજાનાર છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટી તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉતારી દીધા છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓ માટે નવો પડકાર ઉભો થઈ ચૂક્યા છે. જો કે આમ આદમી પાર્ટી પ્રથમવાર રાજ્ય સ્તરે ચૂંટણી લડી રહી છે તેની પાસે જમીની કાર્યકરોનીત્રુટી સતાવી રહી છે. તો બીજી તરફ કેજરીવાલનો રેવડી પ્રચાર ગુજરાતની જનતા ઈનકારી રહી છે તેવી સ્થિતિ વચ્ચે વલસાડ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુભાઈ પટેલ (મરચા)ના પ્રચાર માટે અરવિંદ કેજરીવાલનો વલસાડમાં આવતીકાલ બુધવારે રોડ શો યોજાનાર છે. રામરોટી ચોક વલસાડથી રોડ શોનો પ્રારંભ થશે. ત્યાર બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે. જોવુ એ રહેશે કે વર્તમાન ચૂંટણીમાં વલસાડના મતદારો આપને કેવો પ્રતિભાવ આપે છે.