દેશના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરના સૂત્ર ‘‘શિક્ષિત બનો, સંગઠિત થાવ અને સંઘર્ષ કરો”ને ચરિતાર્થ કરવા આહ્વાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલી વારલી સમાજ દ્વારા શિક્ષણની જાગૃતિ અભિયાન માટે મસાટ ગામે સ્થાનિક લોકો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના ‘‘શિક્ષિત બનો, સંગઠિત થાવ અને સંઘર્ષ કરો” સૂત્રને ચરિતાર્થ કરતાં શિક્ષણના મહત્વ વિશે વિસ્તારથી સમજણ આપવામાં આવી હતી. આ અવસરે સમાજના અગ્રણીઓએ શિક્ષણનું સ્તર સુધારવા માટે શું કરવું જોઈએ? આ વિષય ઉપર વિસ્તારથી ગહન ચર્ચા-વિચારણાં કરી હતી અને આદિવાસી સહિત તમામ સમાજ માટે શિક્ષણનું ઘણું જ મહત્વ હોવાની વાત કહી હતી. દરેકને એમના બાળકો દરરોજ શાળામાં ભણવા જાય છે કે નહિ? તેનું ધ્યાન રાખવા અને વિદ્યાર્થીઓ શિક્ષકો દ્વારા શાળામાંથી આપવામાં આવતુ લેશન કરે છે કે નહિ એનું પણ ધ્યાન રાખવા સૂચન કર્યું હતું. ઉપરાંત અધવચ્ચેથી બાળકો શિક્ષણ નહીં છોડે તેનું પણ ખાસ ધ્યાન રાખવા જણાવાયું હતું.
સમાજના અગ્રણીઓએ ખાસ ભાર આપીને જણાવ્યું હતું કે, જો આપણા બાળકો ભણશે તો જ એમનું ભવિષ્ય સુધરશે, શાળામાં શિક્ષકો તો દરેક વિદ્યાર્થીંઓનુંયોગ્ય ધ્યાન રાખતા જ હોય છે, પરંતુ વાલીઓએ પોતે પણ તેમના બાળકો પર યોગ્ય ધ્યાન આપવા જણાવ્યું હતું.
આ બેઠકમાં દાનહના વારલી સમાજના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના વાલીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.