‘આપ’ દ્વારા ઝંડા-તોરણ બેનર લગાવવાની પરમિશન નહીં લીધી હોવાથી પાલિકાએ કરેલી કાર્યવાહી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16: વલસાડ જિલ્લામાં ધીરે ધીરે ચૂંટણીનો રંગ લાગી રહ્યો છે. મધ્યસ્થ કાર્યોલયોના ઉદ્ઘાટન, પ્રચાર, રોડ શો અને ડોર ટુ ડોર પ્રચારનો આરંભ થઈ ચૂક્યો છે. આ ચૂંટણીના માહોલમાં આજે બુધવારે વલસાડમાં બપોરે 3 વાગે આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલનો રોડ યોજાવાનો હતો. રોડ શો યોજાય તે પહેલાં જ જાહેર માર્ગો ઉપર આમ આદમી પાર્ટી દ્વારા તોરણો, બેનરો, પડદા લગાવ્યા હતા તે તાત્કાલિક અસરથી પાલિકાઅી નીચે ઉતારી દીધા હતા. જેને લઈને વલસાડમાં રાજકીય હંગામો ઉભો થવા પામ્યો હતો.
વલસાડમાં આજે બુધવારે કેજરીવાલનો બપોરે રોડ શો યોજાવાનો હતો તે પહેલા સ્ટેડિયમ રોડ,મોંઘાભાઈ હોલ, રામરોટી, આઝાદ ચોક, એમ.જી. રોડ થી લઈ અંબામાતા મંદિર સુધીના હાર્દસમા રોડો ઉપરથી આપ પાર્ટીના ઝંડા-તોરણ, બેનર ઉતારાવાની પાલિકા દ્વારા કામગીરી આરંભી દેવાઈ હતી. આ બાબતે પાલિકા એક્રોચમેન્ટ ઈન્સ્પેક્ટર મહેશ ચૌહાણે જણાવ્યું હતું કે, આપ દ્વારા ઝંડા-બેનર લગાવાની પાલિકા પાસે પરમિશન નહીં લીધી હોવાથી આચારસંહિતા અનુસાર પાલિકાએ કાર્યવાહી કરી છે. પાલિકાની કામગીરીમાં આપ પાર્ટીના કાર્યકરોમાં ભારે પ્રત્યાઘાત પડયા હતા અને રાજકીય માહોલ ગરમાઈ જવા પામ્યો હતો.