(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.24: સુરખાઈ ગામે પ્રાંત અધિકારી મિતેશભાઈ પટેલ મામલતદાર અર્જુન વસાવા ટીડીઓ ચેતનભાઈ દેસાઈ ખેતીવાડી વિભાગના અધિકારીઓ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ સિંચાઈ અધ્યક્ષ નિકુંજ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ રાકેશભાઈ ભાજપ કિસાન મોરચાના પ્રદેશ મંત્રી આશિષભાઈ દેસાઈ, નાયબ મામલતદાર વિજયભાઈ રબારી, દિવ્યેશભાઈ સહિતનાની ઉપસ્થિતિમાં યોજાયેલા રવિકૃષિ મહોત્સવમાં મોટી સંખ્યામાં તાલુકા ભરમાંથી ઉપસ્થિત ખેડૂતોને નવસારી કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે માહિતગાર કરતા જણાવ્યું હતું કે, આજે બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત આહારનો ઉપયોગ જ આ બીમારીઓને નાથી શકે તેમ છે. પ્રાકૃતિક ખોરાકથી આપણે તંદુરસ્તને લાબું જીવન જીવીશકીશું પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ખર્ચ ઘટવા સાથે ખેડૂતોને તેમની ઉપજના ભાવો પણ સારા મળી રહે છે.
રવિકૃષિ મહોત્સવમાં કૃષિ પરિસંવાદ ઉપરોક્ત પશુ આરોગ્ય કેમ્પ સાથે કળષિના 25-જેટલા સ્ટોલો પણ લગાવવામાં આવ્યા હતા. સાથે લાભાર્થી ખેડૂતોને આંબા કલમ વાવેતર માટેની સહાય ઉપરાંત સાધનો માટેની સહાયનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
રવિકૃષિ મહોત્સવ દરમ્યાન તંત્ર દ્વારા સેવાસેતુ કાર્યક્રમ પણ યોજવામાં આવતા આરોગ્ય વિભાગ દ્વારા 41-જેટલા લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ તથા 17-જેટલાને આભાકાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
રવિકૃષિ મહોત્સવમાં ઉપસ્થિત ભાજપના કિસાન મોરચાના ગુજરાત પ્રદેશમંત્રી આશિષભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના ધ્યેય સાથે ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી આ પ્રકારે કૃષિ મહોત્સવ યોજી ખેડૂતોને ઘર આંગણે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સાથે ડ્રિપ ઈરીગેશનમાં નેવું ટકા સબસીડી, કિસાન સન્માન નિધિ, ખેતીવાડીના જોડાણમાં કિસાન સૂર્યોદય યોજના સહિતની યોજનાઓ અમલમાં છે. સાથે તેમણે પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.